પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ અને ભાઈ રાહુલ ગાંધી સાથે ચોથી ફેબ્રુઆરીએ કુંભમેળામાં ગંગા-યમુના-સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ પોતાની રાજકીય કારકિર્દીની ઔપાચારીક શરૂઆત કરે તેવી શક્યતા છે. પ્રિયંકા ગાંધી તે દિવસથી જ પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી કોંગ્રેસ મહાસચિવ તરીકે પદભાર ગ્રહણ કરશે. આ સિવાય તેઓ યુપીના પાટનગર લખનૌમાં રાહુલ ગાંધી સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધિત કરશે. જાણકાર સૂત્રો મુજબ, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી બંને ચોથી ફેબ્રુઆરીએ મૌની અમાસ અને બીજા શાહી સ્નાનના પ્રસંગે પવિત્ર સ્નાન પણ કરશે.

જો ચોથી ફેબ્રુઆરીએ તેઓ કુંભ સ્નાન નહીં કરી શકે, તો તેઓ દશમી ફેબ્રુઆરીએ વસંત પંચમી અને ત્રીજા શાહી સ્નાન પર પવિત્ર સંગમ ખાતે કુંભ સ્નાન કરે તેવી શક્યતા છે. કદાચ આવું પહેલીવાર બનશે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બંને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. 2001માં તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કુંભમેળામાં ભાગ લીધો હતો અને પવિત્ર કુંભ સ્નાન પણ કર્યું હતું.
ફુલ ટાઈમ પોલિટિક્સમાં એન્ટ્રી બાદ અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વારાણસીથી ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. વારાણસીમાં કોંગ્રેસનો ચહેરો ગણાતા અને ગત લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે પ્રિયંકા ગાંધીને વારાણસીથી ચૂંટણી લડાવવાની માગણી કરી છે. જેને કારણે આવી અટકળો વધારે તેજ બની છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ટ્વિટ કરીને આના તરફ સંકેત પણ કર્યો છે. 201માં મોદી વિરુદ્ધ ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર અજય રાયે આના સંદર્ભે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને પ્રસ્તાવ મોકલવાની વાત પણ કહી છે.
કપિલ સિબ્બલે ટ્વિટ કર્યું છે કે મોદી અને અમિત શાહે કહ્યું હતું, કોંગ્રેસ મુક્ત ભારત. હવે પ્રિયંકા ગાંધીના પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવ્યા બાદ આપણે જોઈશું મુક્ત વારણસી? મુક્ત ગોરખપુર?