ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બિનજરૂરી ઉલ્લેખો અંગે મીડિયાના પ્રશ્નો પર સત્તાવાર પ્રવક્તાએ જવાબ આપ્યો
નવી દિલ્હી, 27 મે 2026 – ભારતના વિદેશ મંત્રાલયે ચીન-પાકિસ્તાનને ઝાટકી નાખ્યા છે. ભારતના આ બંને પાડોશી દેશોએ તેમના એક સંયુક્ત નિવેદનમાં જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો જેને ભારતે મૂળથી ફગાવી દીધો છે. ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંયુક્ત નિવેદનમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બિનજરૂરી ઉલ્લેખો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં સત્તાવાર પ્રવક્તા શ્રી રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે:
- ભારત, ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના બિનજરૂરી ઉલ્લેખોને સ્પષ્ટપણે નકારે છે.
2. આ બાબતે ભારતનું વલણ સાતત્યપૂર્ણ છે અને સંબંધિત પક્ષો તેને સારી રીતે જાણે છે. જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગો રહ્યા છે, છે અને હંમેશા રહેશે. અન્ય કોઈ દેશને આ અંગે ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.
3. કથિત ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સનો સવાલ છે, જેમાંથી કેટલાક પ્રોજેક્ટ્સ ભારતના સાર્વભૌમ ક્ષેત્રમાં છે, અમે આ પ્રદેશો પર પાકિસ્તાનના ગેરકાયદે અને બળજબરીપૂર્વકના કબજાને મજબૂત કરવા અથવા તેને કાયદેસરતા આપવાના અન્ય દેશોના કોઈપણ પગલાનો સખત વિરોધ કરીએ છીએ અને તેને નકારીએ છીએ, કારણ કે તે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર તરાપ મારે છે. આ બાબત પાકિસ્તાની અને ચીની સત્તાવાળાઓને અગાઉ પણ ઘણી વખત સ્પષ્ટપણે જણાવવામાં આવી છે.
4. અમે ચીન અને પાકિસ્તાન વચ્ચે કથિત ‘ટ્રાન્સ-બાઉન્ડ્રી વોટર રિસોર્સિસ કોઓપરેશન’ (સરહદ પારના જળ સંસાધન સહયોગ) ના ઉલ્લેખો પણ જોયા છે. આ બંને દેશો વચ્ચે કોઈ સહિયારી સરહદ જ ન હોવાથી, કથિત ‘સરહદ પારના જળ સંસાધન સહયોગ’ નો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. ભારતે પાકિસ્તાન અને ચીન વચ્ચેના કથિત 1963ના સરહદ કરારને ક્યારેય માન્યતા આપી નથી.

