ગાંધીનગર, 9 જુન, 2026 : Decision not to entrust financial functions to temporary employees રાજ્યના આરોગ્ય વિભાગમાં કામ કરતા આઉટસોર્સિંગ તેમજ કરાર આધારિત કર્મચારીઓને નાણાકીય કામગીરી ન સોંપવાનો આદેશ કરાયો છે. નાણાકીય ગેરરીતિ, હિસાબી ભૂલો અથવા ઓડિટ સંબંધિત ગંભીર વહીવટી પ્રશ્નો ઊભા થવાની શક્યતાને લીધે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે સત્તાવાર આદેશ જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, વર્ગ-3 અને 4ના આઉટસોર્સિંગ તથા કરાર આધારિત કર્મચારીઓને હવેથી કોઈપણ પ્રકારની હિસાબી કે નાણાકીય જવાબદારી સોંપવામાં આવશે નહીં. આ સાથે જ, અગાઉ આવા કર્મચારીઓને સોંપવામાં આવેલી તમામ નાણાકીય કામગીરીઓ પણ તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા આદેશ અપાયો છે.
રાજ્યની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પાસેથી હિસાબી કામગીરી લેવામાં આવતી હોવાની ગંભીર બાબત સરકારના ધ્યાન પર આવી હતી. બિન-કાયમી કર્મચારીઓ પાસે સરકારી નાણાંનો હિસાબ રાખવાની આ સ્થિતિને કારણે ભવિષ્યમાં મોટી નાણાકીય ગેરરીતિ, હિસાબી ભૂલો અથવા ઓડિટ સંબંધિત ગંભીર વહીવટી પ્રશ્નો ઊભા થવાની પૂરી શક્યતા હતી, જેને રોકવા માટે આ મોટો નિર્ણય લેવાયો છે. નવા પરિપત્ર અનુસાર, જો કોઈપણ સરકારી આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિ અથવા હિસાબી પ્રક્રિયામાં કોઈ ખામી સર્જાશે, તો તેની સીધી અને સંપૂર્ણ જવાબદારી જે-તે સંસ્થાના વડા અથવા કચેરીના વડાની રહેશે. આથી જ જવાબદારીમાંથી બચવા અને પારદર્શિતા જાળવવા માટે આવા હંગામી કર્મચારીઓને નાણાકીય સત્તા સોંપવા પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે.
આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ, જે આઉટસોર્સિંગ કે કરાર આધારિત કર્મચારીઓ હાલમાં હિસાબી કામગીરી સંભાળી રહ્યા છે, તેમની પાસેથી આ ચાર્જ તાત્કાલિક ધોરણે પાછો મેળવીને માત્ર નિયમિત સરકારી કર્મચારીઓને જ સોંપવાનો રહેશે. જો કોઈ હોસ્પિટલમાં સ્ટાફની અછત જેવા અનિવાર્ય સંજોગો ઊભા થાય અને આવી કામગીરી સોંપવી જ પડે, તો તે પહેલાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સક્ષમ અધિકારીની લેખિત અને ફરજિયાત મંજૂરી મેળવવાની રહેશે. વિભાગે રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સંબંધિત કચેરીઓને આ આદેશનું ચુસ્તપણે પાલન કરવા આદેશ આપ્યો છે.

