- સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા ડૉ. અનિલ પટેલ; ચૂંટણી પંચના બંધારણીય અધિકારો અને વિપક્ષની ભૂમિકા પર આકરા પ્રહારો
ગાંધીનગર, 27 મે 2026: SIR અંગે સુપ્રીમ કોર્ટે આજે બુધવારે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ભાજપ દ્વારા આવકારવામાં આવ્યો છે. ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે પણ આ અંગે એક વીડિયો સંદેશા દ્વારા ચુકાદાને આવકારવા સાથે વિરોધ પક્ષોની આકરી ટીકા કરી હતી.
મતદાર યાદી શુદ્ધિકરણ (SIR) અંગે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા અને અવલોકનોને આવકારતા ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે જણાવ્યું છે કે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે મતદાર યાદી શુદ્ધ કરવાનો કાયદાકીય હક માત્ર અને માત્ર ચૂંટણી પંચ પાસે જ છે.
આ પણ વાંચોઃ દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેનને રેલવે મંત્રાલયની મંજૂરી, જાણો ક્યાં પ્રારંભ થશે?
આ સ્થિતિમાં વિપક્ષો અને કોંગ્રેસે બિનજરૂરી હોબાળો કરવાનું બંધ કરવું જોઈએ. રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ જેવા ઘૂસણખોરોના સમર્થન કરનારા વિપક્ષો હંમેશા આવી શુદ્ધિકરણની પ્રક્રિયાનો વિરોધ કરતા આવ્યા છે.
કોંગ્રેસ જ્યારે પોતે સત્તામાં હતી ત્યારે તેણે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કર્યો હતો, અને હવે વિપક્ષમાં બેઠા પછી પણ તે બંધારણીય સંસ્થાઓ સામે પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસે નકારાત્મકતા ફેલાવવાને બદલે પોતાની સતત થઈ રહેલી હાર માટે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
જુઓ વીડિયોઃ
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકશાહીમાં પારદર્શક અને ન્યાયિક ચૂંટણી માટે વોટર લિસ્ટ (મતદાર યાદી) નું અપડેટ થવું એ જ સૌથી મોટો પાયો છે. યોગેન્દ્ર યાદવ જેવા અર્બન નક્સલીઓ અને એડીઆર (ADR) જેવી સંસ્થાઓ દેશનું રાજકીય વાતાવરણ બગાડવાનો સતત પ્રયાસ કરી રહી છે.
ભારતીય બંધારણની કલમ 324 અને 1950ના ‘ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ’ (લોકપ્રતિનિધિત્વ ધારો) મુજબ ચૂંટણી પંચને આ પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા કરવાનો સંપૂર્ણ અને કાયદેસરનો અધિકાર આપવામાં આવ્યો જ છે.

