અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. ગામેગામ પીવાના પાણીની સમસ્યા વિકટ બની રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પુરતી જળરાશી હોવા છતાં વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે લોકો પાણી વિના વલખા મારી રહ્યા છે. રાજ્યનાં કેટલાક ગામોમાં તો તળાવો પણ સૂકાઇ ગયા છે તો કેટલાક ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળિયાના મતક્ષેત્ર જસદણમાં પણ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. જો પાણી પુરવઠા મંત્રીના મતક્ષેત્રમાં જ આ સ્થિતિ છે તો રાજ્યના અન્ય વિસ્તારોમાં કેટલી કફોડી સ્થિતિમાંથી હશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો જથ્થો 51 ટકા જેટલો ઉપલબ્ધ છે. પણ વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે લોકોને પાણી મળતું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસાના આગમનને હજુ બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત. અને મધ્ય ગુજરાતમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. કચ્છના 20 જળાશયોમાં માત્ર 12.52 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌરાષ્ટ્રના 138 જળાશયોમાં 9.74 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 19.99 ટકા જથ્થો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 15.81 ટકા જથ્થો, અને મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 44.78 ટકા જથ્થો મળી રાજ્યના કુલ 203 જળાશયોમાં 21.37 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં 51.20 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે. નર્મદા ડેમમાં પીવાના પાણીનો પુરતા જથ્થો ઉપલબ્ધ છે. પણ કહેવાય છે. કે, પાણીની વિતરણ વ્યવસ્થાની ખામીને કારણે લોકોને પીવાનું પાણી મળતું નથી. રાજ્યમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે સરકાર દ્વારા મિટિંગોનો દોર શરૂ કરી દેવાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ લોકોને પાણીનો બગાડ નહી કરવા માટે અપીલ કરી છે. અને કહ્યું છે કે, જુલાઇ માસ સુધી દરેક લોકોને પાણી મળી રહે તેટલો જથ્થો છે. તો ત્યાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જણાવ્યું છે કે, સરકાર દ્વારા લોકોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને સરકાર દરેક પ્રકારની સ્થિતિને પહોંચી વળવામાં સક્ષમ છે. જોકે, રાજ્યના તળાવો, જળાશયો અને ડેમોને સ્થિતિ તો કંઇક અલગ જ ચિતાર આપે છે. ગુજરાતમાં પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે. રાજ્યના મોટાભાગના બાર-કૂવાઓમાં પાણી ડુકી ગયા છે. ત્યારે સરકારે ગંભીરતાથી રસ લઈને પાણીની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ,