Site icon Revoi.in

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં ફાયરિંગમાં 49ના મોત, બાંગ્લાદેશી ક્રિકેટ ટીમનો પ્રવાસ થયો રદ્દ

Social Share

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં ફાયરિંગ કરનારા ચાર શૂટર્સની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય શૂટર્સમાં ત્રણ પુરુષો અને એક મહિલાનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડના સ્થાનિક અખબાર ન્યૂઝીલેન્ડ હેરાલ્ડ મુજબ, મસ્જિદોમાં કરવામાં આવેલા ફાયરિંગમાં 49 લોકોના મોત નીપજ્યા છે. જેને પગલે એર ન્યૂઝીલેન્ડની ફ્લાઈટોને પણ રદ્દ કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં આવેલી અલ નૂર અને લિનવુડ મસ્જિદમાં થયેલા ફાયરિંગ મામલે વડાંપ્રધાન જેસિંડા અર્ડર્ને નિવેદન આપ્યું છે. તેમણે આ ફાયરિંગની ઘટનાને ન્યૂઝીલેન્ડના ઈતિહાસના સૌથી કાળા દિવસોમાંથી એક ગણાવ્યો છે. આ હુમલા વખતે બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના કેટલાક ખેલાડીઓ પણ મસ્જિદમાં હાજર હતા. હુમલા બાદ બાંગ્લાદેશી ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ રદ્દ કર્યો છે અને ત્રીજી ટેસ્ટને પણ રદ્દ કરવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં પોલીસે જણાવ્યું છે કે શહેરની બે મસ્જિદોમાં થયેલા ફાયરિંગમાં ઘણાં લોકોના ભોગ બનવાના અહેવાલ છે. પ્રારંભિક મીડિયા અહેવાલો મુજબ, ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં ફાયરિંગમાં નવ લોકોના મોત નીપજ્યા છે.

ન્યૂઝીલેન્ડના પોલીસ કમિશનર માઈક બુશે કહ્યુ છે કે આ મામલામાં ચાર શકમંદોની અટકાયત કરવામાં આવી છે. આ ચાર શકમંદોમાં ત્રણ પુરુષો અને એક મહિલા સામેલ છે. પરંતુ અત્યાર સુધી એવું કહી શકાય નહીં કે ખતરો સમાપ્ત થયો છે.

ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરી રહેલી બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓ દ્વારા ટ્વિટર પર જાણકારી આપવામાં આવી છે કે તેઓ ગોળીબારની ઘટનામાં સુરક્ષિત બચવામાં કામિયાબ રહ્યા છે અને આ દુર્ઘટનાને કારણે ટીમનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.

ન્યૂઝીલેન્ડની બંને મસ્જિદોમાં આજે જુમ્માની નમાજને કારણે સારી એવી સંખ્યામાં લોકો હાજર હતા.

પોલીસ કમિશનર માઈક બુશે કહ્યુ છે કે ચાર લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે ઘણાં આઈઈડીને જપ્ત કરવામાં આવ્યા છે. આ એક બેહદ સુનિયોજિત હુમલો છે. જેમાં હુમલાખોરોએ ભારે હથિયારોનો પણ ઉપયોગ કર્યો છે. જો કોઈપણ શખ્સ આજે મસ્જિદ જવાનો હોય, તો તેમને અપીલ છે કે તેઓ આજે મસ્જિદ જાય નહીં. પોલીસના નિર્દેશ સુધી ઘરોના દરવાજા બંધ રાખવામાં આવે.

જો કે પોલીસે સ્પષ્ટ કર્યું નથી કે આ એક આતંકવાદી હુમલો છે અથવા નહીં.

ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો પ્રવાસ રદ્દ થવાની જાણકારી આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે અમારી સંવેદનાઓ ક્રાઈસ્ટચર્ચમાં થયેલી ચોંકાવનારી દુર્ઘટનામાં અસરગ્રસ્ત લોકોના પરિવારો અને મિત્રોની સાથે છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પરસ્પર સંમતિથી હેગલી ઓવલ ટેસ્ટને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ અને સહયોગી સ્ટાફ બંને સુરક્ષિત છે.

ક્રાઈસ્ટ ચર્ચના મેયર લિયાનેર ડેલજીએલએ દુર્ઘટના સંદર્ભે કહ્યુ છે કે સ્કૂલોમાં જે બાળકો છે, તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ બેહદ જરૂરી છે કે લોકો ખુદને આ પરિસ્થિતિમાં શાંત રાખે અને પોતાના મિત્રો તથા પરિવાર સાથે વાત કરે. આ એક બેહદ ભયાનક ઘટના છે. આ જરૂરી છે કે આપણે એકસાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરીએ.

પ્રત્યક્ષદર્શીઓએ સ્થાનિક મીડિયાને જાણકારી આપી છે કે ગોળીબાર બાદ તેઓ જીવ બચાવવા માટે ભાગ્યા હતા. તેમણે અલ નૂર મસ્જિદમાં લોહીથી લથબથ હાલતમાં ઘણાં લોકોને જમીન પર પડેલા જોયા હતા.

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડર્ને દેશના નામે આપવામાં આવેલા સંદેશમાં કહ્યું છે કે હાલ વિવરણ સ્પષ્ટ નથી. પરંતુ તેઓ જણાવી શકે છે કે આ ન્યૂઝીલેન્ડના સૌથી કાળા દિવસોમાંથી એક છે.

પોલીસે ચેતવણી જાહેર કરી છે કે લોકો અસરગ્રસ્ત વિસ્તારમાં આવવાથી બચ્યા. આ વિસ્તારની તમામ સ્કૂલો અને હોસ્પિટલોને બંધ કરવામાં આવી છે.

એક પ્રત્યક્ષદર્શી મોહન ઈબ્રાહીમે ન્યૂઝીલેન્ડ હેરલ્ડને કહ્યુ છે કે શરૂઆતમાં તેમને લાગ્યું કે શોર્ટ સર્કિટ થઈ છે. તેના પછી તમામ લોકો ભાગવા લાગ્યા હતા. તેમને ઘણાં મિત્રો હજીપણ મસ્જિદની અંદર છે.

તેમણે કહ્યુ છે કે તેમણે પોતાના ઘણાં મિત્રોને કોલ કર્યો છે. પરંતુ આમાથી ઘણાંને જવાબ આપ્યો નથી. તેઓ પોતાના મિત્રોને લઈને ચિંતિત છે.

અલ નૂર મસ્જિદ ક્રાઈસ્ટચર્ચના ડીન એવેન્યૂમાં હેગલી પાર્કની સામે આવેલી છે.

કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું એમ પણ કહેવું છે કે તેમણે મસ્જિદની અંદર લાશો જોઈ છે. જો કે પોલીસે હજી આના સંદર્ભે કોઈ પુષ્ટિ કરી નથી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લિનવુડ વિસ્તારની અન્ય એક મસ્જિદને પણ ખાલી કરાવી લેવામાં આવી છે.

ટીવી ન્યૂઝીલેન્ડ સાથે વાત કરતા એક પ્રત્યક્ષદર્શીએ કહ્યુ છે કે તેની સામે હુમલાખોરે એક શખ્સને છાતીમાં ગોળીઓ મારી. લગભગ 20 મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો અને ઓછામાં ઓછા 60 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની શક્યતા છે.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે હુમલાખોરે પહેલા પુરુષોના પ્રાર્થનાઘરને નિશાન બનાવ્યું અને બાદમાં મહિલાઓના કક્ષ તરફ આગળ વધ્યા હતા. તેમણે જણાવ્યું છે કે તે સમયે તેઓ ગભરાયેલા હતા અને બસ ઈશ્વરને એ પ્રાર્થના કરી રહ્યા હતા કે હુમલાખોર પાસે બુલેટ સમાપ્ત થઈ જાય. મહિલાઓના પ્રાર્થનાઘરમાં જઈને તેણે ગોળીઓ ચલાવી અને તેમણે અવાજ સાંભળ્યો કે એક મહિલાનું મોત નીપજ્યું છે.

સ્થાનિક મીડિયાનું કહેવું છે કે કેંટબરી ડિસ્ટ્રિક્ટ હેલ્થ બોર્ડે પોતાના ઈમરજન્સી પ્લાનને પણ લાગુ કર્યો છે. તેના પ્રમાણે પીડિતો માટે ઈમરજન્સી સેવાઓ સુરક્ષિત રાખવામાં આવતી હોય છે. જો કે હેલ્થ બોર્ડેના પ્રવક્તાએ એનો કોઈ ફોડ પાડયો નથી કે કેટલા લોકોના હોસ્પિટલમાં પહોંચવાની સંભાવના છે.

પોલીસે શહેરના કેથેડરલ સ્ક્વેરને પણ ખાલી કરાવી લીધો છે. અહીં હજારો બાળકો જળવાયુ પરિવર્તનના મુદ્દા પર રેલી કરી રહ્યા હતા.

પોલીસ કમિશનર માઈક બુશે કહ્યુ છે કે ક્રાઈસ્ટચર્ચમાં એક ગંભીર ઘટના થઈ રહી છે. જેમાં એક સક્રિય શૂટર સામેલ છે.

ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરી રહેલી બાંગ્લાદેશી ક્રિકેટ ટીમને ફૉલો કરી રહેલા એક પત્રકારે ટ્વિટ કર્યુ છે કે ટીમ હેગલી પાર્કી પાસેની મસ્જિદમાંથી સુરક્ષિત બચી નીકળી છે, અહીં એક સક્રિય શૂટર છે.

ખેલાડી તમીમ ઈકબાલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આખી ટીમ સક્રિય શૂટરથી સુરક્ષિત બચી ગઈ છે.