Site icon Revoi.in

રફાલ ડીલ : “ ચોકીદારને ચોર” સાબિત કરવા રાહુલ ગાંધી બેબાકળા, ‘મોદીએ એન્ટિ કરપ્શનની ક્લોઝ હટાવી કરી ચોરી’!

Social Share

લખનૌમાં પોતાની રાજકીય શક્તિના પ્રદર્શન પહેલા ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે રફાલ યુદ્ધવિમાનના સોદામાં વડાપ્રધાન મોદીએ ચોરી કરી છે, એ વાતની પુષ્ટિ સંરક્ષણ મંત્રાલય પણ કરી રહ્યું છે. તેમણે કહ્યુ છે કે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદી બીજી જ ડીલ કરી રહ્યા હતા.

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુના ધરણા-પ્રદર્શનને સમર્થન કરવા માટે આંધ્ર ભવન પહોંચેલા રાહુલ ગાંધીએ અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલને પણ ટાંક્યો હતો. તેમણે ક્હ્યુ હતુ કે અખબારના રિપોર્ટથી એ સિદ્ધ થઈ ગયું છે કે વડાપ્રધાને આ ડીલમાંથી એન્ટિ-કરપ્શન ક્લોઝને હટાવી દીધી છે.

રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ડિફેન્સ ડીલમાં એન્ટિ-કરપ્શનની ક્લોઝ હોય છે, અખબારની પહેલી સ્ટોરીમાં લખ્યું હતું કે નરેન્દ્ર મોદીએ સંરક્ષણ મંત્રાલયની વાતોને નકારતા ખુદ ડીલ કરી છે, તેના પછી આજના અહેવાલમાં એ વાત સાફ થઈ ગઈ છે કે વડાપ્રધાને રફાલ મામલામાં ચોરી કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે અહીં આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જાની માગણીને ટેકો આપતા કહ્યુ હતુ કે મોદીએ આંધ્રપ્રદેશના નાણાં ચોરીને અનિલ અંબાણીના ખિસ્સામાં નાખ્યા છે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં એક અંગ્રેજી અખબારે રફાલ ડીલને લઈને એક દાવો કર્યો હતો અને તેને કારણે સડકથી લઈને સંસદ સુધી હંગામો સર્જાયો હતો. હવે તે અખબારે પોતાના અહેવાલના બીજા ભાગમાં દાવો કર્યો છે કે મોદી સરકારે આ સોદાને લઈને એટલી ઉતાવળ કરી હતી કે તેણે એન્ટિ કરપ્શન ક્લોઝ જેવી મહત્વપૂર્ણ શરત પણ હટાવી દીધી હતી. આ અહેવાલના પ્રકાશિત થતાની સાતે જ કોંગ્રેસના ઘણાં નેતાઓએ ટ્વિટ કરીને મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો.

અંગ્રેજી અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે એસ્ક્રો એકાઉન્ટ રાખવા માટે નાણાંકીય સલાહકારોની વાત પણ નામંજૂર કરી હતી, કારણ કે પીએમઓએ સોવરેન અથવા બેન્ક ગેરેન્ટીની શરતને સમાપ્ત કરવાનું દબાણ બનાવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે આ પહેલાના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ રફાલ સોદા પર વડાપ્રધાન કાર્યાલય તરફથી કરવામાં આવેલી કથિત દખલગીરી સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જો કે સરકાર તરફથી લોકસભામાં આપવામાં આવેલા નિવેદનમાં કોઈપણ પ્રકારની આવી દખલગીરીના દાવાઓને રદિયો આપવામાં આવ્યો હતો.