Site icon Revoi.in

ભારતમાં ધર્મ અને રાજકારણને અલગ કરવા ધીમે-ધીમે અતિશય મુશ્કેલ બની રહ્યું છે: US

Social Share

વોશિંગ્ટન: અમેરિકાની સંઘીય સરકાર તરફથી નિયુક્ત થયેલા પંચે ભારતને એક એવો દેશ જણાવ્યો છે જ્યાં ધર્મ અને રાજકારણને અલગ કરવું ધીમે-ધીમે અતિશય મુશ્કેલ બની રહ્યું છે. સાથે જ આરોપ લગાવવામાં આવ્યો કે ભારતમાં 2018માં પણ ધાર્મિક સ્વતંત્રતા ઓછી થઈ. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના અમેરિકન આયોગ (યુએસસીઆઇઆરએફ)એ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર પોતાના એન્યુઅલ રિપોર્ટમાં કહ્યું કે ઘણા દેશોમાં જ્યાં તેમણે 2018માં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિઓ ખરાબ થતી જોઈ, ત્યાં એ પણ જોવા મળ્યું કે ધર્મનું રાજનીતિકરણ અને પ્રતિભૂતિકરણ પણ વધ્યું છે.  

યુએસસીઆઇઆરએફે કહ્યું, “ઉદાહરણ તરીકે ભારત જેવા દેશમાં ધર્મ અને રાજકારણને અલગ કરવું સતત મુશ્કેલ થઈ રહ્યું છે. આ એક એવી ચાલ છે જે ક્યારેક-ક્યારેક એવા લોકોની મહત્વાકાંક્ષા બની જાય છે, જેઓ કેટલાક નિશ્ચિત ધાર્મિક સમુદાયોના અધિકારોને સીમિત કરવા અને તેમના વિરુદ્ધ ભેદભાવ કરવા માંગે છે.”

ભારતનો ઉલ્લેખ કર્યા વગર રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે જે સરકારો આ ઉત્પીડનોને સહન કરે છે અથવા તેને પ્રોત્સાહન આપે છે તેઓ ઘણીવાર આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપનું નામ આપીને બચવાનો પ્રયત્ન કરે છે.

ભારતે આ પહેલા ધાર્મિક સ્વતંત્રતા પર યુએસસીઆઇઆરએફના રિપોર્ટને એમ કહીને રદિયો આપ્યો હતો કે આ સમૂહની કોઈ હેસિયત નથી કે તેઓ બંધારણીય દ્રષ્ટિથી સંરક્ષિત નાગરિકોના અધિકારો પર કોઈ ફેંસલો કે ટિપ્પણી કરી શકે.