Site icon Revoi.in

દુશ્મનોના રડારોને ધ્વસ્ત કરનારી એન્ટી-રેડિએશન મિસાઈલનું ભારત દ્વારા પરીક્ષણ

Social Share

ભારતે નવી પેઢીની એન્ટી-રેડિએશન મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. આ એન્ટી રેડિએશન મિસાઈલ તમામ સર્વિલાન્સ અને રડાર સિસ્ટમને ધ્વસ્ત કરવા સક્ષમ છે. ખાસ વાત એ છે કે આ મિસાઈલનું પરીક્ષણ સુખોઈ-એમકેઆઈ ફાઈટર જેટમાંથી કરવામાં આવ્યું છે.

ન્યૂ જનરેશન એન્ટી રેડીએશન મિસાઈલ એકસો કિલોમીટરની રેન્જમાં ટાર્ગેટને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. હવાથી જમીન પર પ્રહાર કરવામાં સક્ષમ એન્ટી રેડિએશન મિસાઈલનું નિર્માણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે. ડીઆરડીઓ આ પહેલા રશિયા સાથે સંયુક્તપણે સુપરસોનિક બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલને વિકસિત કરી ચુક્યું છે.

સૂત્રને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મિસાઈલનું પરીક્ષણ 18 જાન્યુઆરીએ બાલાસોરમાં સુખોઈ-30 એમકેઆઈમાંથી કરવામાં આવ્યું છે. આ મિસાઈલની તમામ સિસ્ટમ યોગ્ય રીતે કામગીરી કરી રહી હતી અને મિસાઈલે બંગાળની ખાડીમાં આવેલા પોતાના ટાર્ગેટને ચોકસાઈપૂર્વક ભેદવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. એનજીઆરએએમને સુખોઈ વિમાનના અલગ-અલગ કોણો અને ગતિથી લોન્ચ કરી શકાય છે.

ગુરુવારે ડીઆરડીઓ-નેવીએ સંયુક્તપણે લાંબા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી એલઆર-એસએએમ નામની એક અન્ય આધુનિક બરાક મિસાઈલનું આઈએનએસ ચેન્નઈ પરથી પરીક્ષણ કર્યું હતું. તેનું નિર્માણ ડીઆરડીઓએ ઈઝરાયલી એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ અને રફાલ સાથે મળીને કર્યું છે. સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણે આ પરીક્ષણ માટે ડીઆરડીઓ અને નેવીને અભિનંદન પાઠવ્યા છે અને તેને એક ઐતિહાસિક સિદ્ધિ પણ ગણાવી છે.

સુપરસોનિક બરાક-8 મિસાઈલ સિસ્ટમની ઈન્ટરસેપ્શન રેન્જ 70થી 100 કિલોમીટરની છે. હાલ આ પરીક્ષણની પ્રક્રિયામાં રહેલી મિસાઈલ છે. આ મિસાઈલના સંપૂર્ણપણે ઓપરેશનલ થયા બાદ તેને તમામ ભારતીય યુદ્ધજહાજો પર તેનાત કરવામાં આવશે. આ મિસાઈલ યુદ્ધજહાજોની ફાઈટર પ્લેન, ડ્રોન, હેલિકોપ્ટર, મિસાઈલ અને અન્ય હથિયારોથી સુરક્ષા કરશે.