Site icon Revoi.in

ઇન્ડિગો સંકટ મામલે 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરોની હકાલપટ્ટી

Social Share

નવી દિલ્હી: દેશભરમાં હવાઈ મુસાફરોને ભારે હાલાકીમાં મૂકનાર ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હવે ધીમે ધીમે થાળે પડી રહ્યું છે, પરંતુ સરકાર અને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) હજુ પણ એક્શન મોડમાં છે. આ મામલે DGCAએ મોટી કાર્યવાહી કરતા ઇન્ડિગોની દેખરેખ રાખતા 4 ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરો (FOI)ને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. DGCAએ ઇન્ડિગોના CEOને સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે ઇન્ડિગોની સુરક્ષા અને ઓપરેશન પર નજર રાખવાની જવાબદારી ધરાવતા કેટલાક ઇન્સ્પેક્ટરોએ બેદરકારી દાખવી હતી. આ ઇન્સ્પેક્ટરો DGCAમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હતા. તપાસ અને દેખરેખમાં ચૂક બદલ આ ચારેય અધિકારીઓની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી એક દાખલો બેસાડશે.

બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટે પણ આ મુદ્દે સરકાર અને એરલાઇન્સને આડે હાથ લીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે, “જ્યારે એરલાઇન સિસ્ટમ ફેલ થઈ રહી હતી ત્યારે સરકાર શું કરતી હતી? ફ્લાઇટની ટિકિટના ભાવ સામાન્ય રૂ. ચાર-પાંચ હજારથી વધીને સીધા રૂ. 30 હજાર સુધી કેવી રીતે પહોંચી ગયા? કટોકટીના સમયે અન્ય એરલાઇન્સને નફાખોરી કરવાની છૂટ કેમ આપવામાં આવી?” બેન્ચે સરકારને તાકીદ કરી છે કે ભવિષ્યમાં આવી અંધાધૂંધી ફરી ન સર્જાય તે સુનિશ્ચિત કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંકટથી પ્રભાવિત મુસાફરોને શાંત કરવા ઇન્ડિગોએ વળતરની જાહેરાત કરી છે. એરલાઇન્સ 3 અને 4 ડિસેમ્બરના રોજ મુસાફરી કરનારા પ્રભાવિત યાત્રીઓને રૂ. દસ હજારના ‘બેલેન્સ વાઉચર’ આપશે. મુસાફરો આ વાઉચરનો ઉપયોગ આગામી એક વર્ષ સુધી ટિકિટ બુકિંગ માટે કરી શકશે. સરકારે અગાઉ જ ઇન્ડિગોની 10 ટકા ફ્લાઈટ્સ ઘટાડવાનો આદેશ આપ્યો છે. આ કાપ હાઈ-ડિમાન્ડ અને વ્યસ્ત રૂટ્સ પર લાગુ કરવામાં આવશે, જેના કારણે રોજના 2300માંથી આશરે 230 ફ્લાઈટ્સ ઓછી થશે.

 

Exit mobile version