Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં શીખરબંધ જિનાલયના નિર્માણમાં ગુજરાતના 600 શિલ્પકારો કામે લાગ્યા

Social Share

અમદાવાદઃ ગુજરાતઓ વિશ્વભરમાં ફેલાયેલા છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, એટલે વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓએ ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરી છે.  વિશ્વમાં એવો કોઇ દેશ નહીં હોય કે જ્યાં ગુજરાતી અને મંદિરો નહીં હોય, અમેરિકા અને બ્રિટનની ધરતી પર પણ મોટા મંદિરોનું નિર્માણ થયેલું છે. ઓસ્ટ્રેલિયામાં પણ અનેક મંદિરો આવેલા છે પરંતુ હવે મેલબોર્નમાં જૈન મંદિર આકાર લઇ રહ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં વસતા જૈન પરિવારો માટે મેલબોર્નમાં શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ મંદિરને ગુજરાતના 600 જેટલા શિલ્પકારો બનાવી રહ્યાં છે. મંદિરના નિષ્ણાતં રાજેશ સોમપુરાના માર્ગદર્શન પ્રમાણે આ મંદિર બને છે. મેલબોર્નમાં તૈયાર થઇ રહેલા આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિરને 1000 વર્ષ સુધી કઇં થશે નહીં. ત્રણ વર્ષમાં આ જિનાલય તૈયાર કરાશે. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્વારા થઇ રહ્યું છે તેવી રીતે ઓસ્ટ્રેલિયાના આ મંદિરમાં પણ સોમપુરાનો મહત્વનો રોલ છે.

મેલબોર્નમાં નિર્મણાધિન  જૈન મંદિરના બાંધકામ માટે  15000  ટન જેટલા માર્બલનો ઉપયોગ થશે અને તે માર્બલ રાજસ્થાનથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં જશે. આ મંદિરમાં લોખડં અને સિમેન્ટનો ઉપયોગ થવાનો નથી. રાજસ્થાન ઉપરાંત કેટલાક માર્બલ ગુજરાતમાંથી પણ જવાના છે. આ જૈન મંદિર તૈયાર થશે ત્યારે ઓસ્ટ્રેલિયાનું તે સૌથી ઉંચું શિખરબદ્ધ જિનાલય હશે. તાજેતરમાં આ જિનાલયનો શિલાન્યાસ થયો છે અને 30 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જગવલ્લભ સૂરીશ્વરજી મહારાજની હાજરીમાં આ શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

Exit mobile version