Site icon Revoi.in

ભારત-ચીન વચ્ચે આજે સૈન્ય કોર કમાન્ડર સ્તરની 13 માં રાઉન્ડની  બેઠક યોજાશે

Social Share

 

દિલ્હીઃ- ચીન અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે,પૂર્વ લદ્દાખમાં એલએસી પર શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારત અને ચીન વચ્ચે આજ રોજ 13 મી રાઉન્ડની કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો  10:30 કલાકે ચીનની બાજુ મોલ્ડો બોર્ડર પોઇન્ટ પર થશે.આ બેઠકમાં ભારત તણાવના બાકીના મુદ્દાઓમાંથી ચીની સેનાની વાપસી પર  જોર આપશે ,આગ્રહ કરશે. આ સિવાય ડેપસાંગ અને ડેમચોક મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 31 જુલાઈના રોજ ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની 12 મી રાઉન્ડની મંત્રણા થઈ હતી. આ વાતચીત લગભગ નવ કલાક સુધી ચાલી હતી.જેમાં ભારતે પૂર્વ લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને અન્ય તણાવપૂર્ણ સ્થળોએથી સૈન્ય અને હથિયારોને વહેલી પરત ખેંચવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં, બંને પક્ષોએ પૂર્વ લદ્દાખમાં લશ્કરી વિવાદને સમાપ્ત કરવા માટે પણ ચર્ચા કરી. ચર્ચા દરમિયાન ભારત અને ચીને સરહદ વિવાદ પર વિગતવાર ચર્ચા કરી.

બેઠકના એક દિવસ પહેલા આર્મી ચીફએ શું કહ્યું જાણો

બેઠકના એક દિવસ પહેલા જ શનિવારે આર્મી ચીફે બેધડક કહ્યું હતું કે જ્યાં સુધી ચીની સૈનિકો ત્યાં હાજર રહેશે ત્યાં સુધી આપણા સૈનિકો પણ ત્યાથી પાછા નહી વળે. સેના તેમની દરેક ગતિવિધિઓ પર  નજર રાખી રહી છે અને કોઈપણ કાર્યવાહીનો યોગ્ય જવાબ આપવામાં આવશે. સાથે જ તેમણે અફઘાનિસ્તાનમાંથી આતંકવાદીઓની ઘૂસણખોરીને પણ ગંભીર મુદ્દો ગણાવ્યો હતો.

આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેએ જણાવ્યું હતું કે, “ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા એલએસીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું ચિંતાનો વિષય છે, પરંતુ અમારી તૈયારી પણ ટક્કર આપનારી છે.” અમારા સૈનિકો દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર છે અને દુશ્મનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જો આ શિયાળામાં પણ ચીની સૈનિકો એલએસી પર રહેશે તો ત્યાં પણ એલઓસી જેવી સ્થિતિ રહેશે.