Site icon Revoi.in

ભાવનગર હાઈવે પર ચમારડી પાસે કોઝ-વે બંધ કરાયા બાદ ફરી વાહનો માટે ખૂલ્લો મુકાયો

Social Share

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં પણ છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે, ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના સ્ટેટ હાઈવે પર ચમાર ડી ગામ પાસે કાળુભાર નદી પર આવેલા કોઝવે પરથી પાણી ફરી વળતા પોલીસ વિભાગની મદદ લઈ રસ્તો બંધ કરી ટ્રાફિક વાયા ઉમરાળા ડાઇવર્ટ કર્યો હતો. જોકે કોઝવે પરથી પાણી ઉતરી જતાં ધીમી ગતિએ વાહનોને  કોઝ-વે. પરથી પસાર કરવાનો પુન: પ્રારંભ કરાયો હતો. દરમિયાનમાં કાળુભાર ડેમ પણ ઓવરફ્લો થતા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા.

ગોહિલવાડ પંથકમાં સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. જોકે ઉપવાસમાં સારા વરસાદને કારણે જળાશયોની સપાટીમાં વધારો થયો છે. શેત્રુંજી ડેમની સપાટી વધીને 29.4 ફૂટના આંકને આંબી ગઇ છે. રસનાળ ગામે આવેલી સૂકઓ નદીના ચેકડેમ ઓવરફ્લો થઇ ગયો છે અને સુકઓ નદી પર આવેલા પુલ વરસાદના પાણીથી ધોવાઇ જતા તૂટી ગયો હતો. જ્યારે વલ્લભીપુરમાં 9 મી.મી., ઉમરાળામાં 8 મી.મી. તથા ઘોઘા તાલુકામાં 3 મી.મી. વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 376 મી.મી. નોંધાયો છે. જે ચોમાસાના કુલ વરસાદ 617 મી.મી.ના 61.70 ટકા થાય છે.

વલ્લભીપુર શહેર અને આસપાસના પંથકમાં મંગળવારે રાત્રીના પોણા નવ વાગ્યાની આસપાસના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. તેમજ કાળુભાર ડેમ ઓવરફ્લો થતા ચમારડી-ચોગઠના હાઈવે પર આવેલા કાળુભાર નદીના બેઠા પુલ ઉપર પાણી ફરી વળતા ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુર તરફનો વાહન વ્યવહાર સવારના 8 વાગ્યાથી આજે સાંજના 6 વાગ્યા સુધી સંપૂર્ણ બંધ રહ્યો હતો અને વાહન વ્યવહાર વાયા સણોસરા,શિહોર ઉપર થઇને ડાયવર્ટ થયો હતો. જોકે સાંજે કોઝવે પરથી પાણી ઉતરી જતાં ધીમી ગતિએ વાહનો પસાર કરાયા હતા. કાળુભાર ડેમ ઓવરફ્લો થતા ગઢડાના ગઢાળી અને રાજપીપળા, ઉમરાળા તાલુકાના ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા તથા ચોગઠ તેમજ વલ્લભીપુર તાલુકાના રાજસ્થળી ગામને એલર્ટ કરાયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શેત્રુંજી ડેમમાં ઉપરવાસના ગુજરડા જળસ્ત્રાવ ક્ષેત્રમાંથી પાણીની 4682 ક્યુસેકની સતત આવકથી ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. અને ડેમની સપાટી વધીને 29.4 ફૂટ થઇ ગઇ છે. આ જળાશય 34 ફૂટની સપાટીએ છલકાય છે. ડેમમાં કુલ 249 મીલીયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનો માલપરા ડેમમાં 100 ટકા પાણી ભરાઇ જતાં આ ડેમમાં એક દરવાજો સાંજના સમયે ખોલવામાં આવ્યો હતો.ડેમમાં પાણીની આવક અને જાવક 414 ક્યૂસેકની હતી.