Site icon Revoi.in

રાજ્યમાં સરકારી અને ખાનગી શાળાઓમાં તા.3જીમેથી 6ઠ્ઠી જુન સુધી ઉનાળું વેકેશન રહેશે

Social Share

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાને લીધે સૌથી વધુ નુકશાન શિક્ષણ ક્ષેત્રને વેઠવું પડ્યુ છે. શાળાઓમાં કોરોનાને લીધે ધોરણ 10 અને 12 સિવાયના વર્ગોને માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. રાજ્યમાં હાલ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ છે. ત્યારે શાળા સંચાલક મંડળે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને ઉનાળું વેકેશન જાહેર કરવાની માગ કરી હતી. રાજ્ય સરકારે આજે ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૦- ૨૧માં શાળાઓમાં ઉનાળું વેકેશન તા .03 / ૦૫ / ૨૦૨૧ થી તા .૦૬ / ૦૬ / ૨૦૨૧ દરમિયાન રહેશે. કોરોનાનાં સંક્રમણથી ઊભી થયેલી વિકટ સ્થિતિને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી /અધિકારીઓ પૈકી જે કર્મચારી/ અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલ ન હોય તેવા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી/અધિકારીઓએ શાળાએ આવવાનું રહેશે નહીં.

રાજ્ય સરકારે તમામ શાળાઓમાં તા. 3જી મેથી તા. 6ઠ્ઠી જુન સુધી ઉનાળું વેકેશનની જાહેરાત કરી છે. નિયામક, પ્રાથમિક શિક્ષણની કચેરી તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગરના નિયંત્રણ હેઠળની સરકારી ગ્રાન્ટ ઈન એઈડ તથા સ્વનિર્ભર શાળાઓએ તથા તે શાળાનાં શિક્ષકોએ નવા શૈક્ષણિક વર્ષ માટે ઉક્ત ફચેરીઓ દ્વારા નક્કી કરવામાં આવનાર શૈક્ષણિક કેલેન્ડરની સૂચનાઓનું અવશ્યપણે પાલન કરવાનું રહેશે. જો કે, રાજ્ય સરકાર અને / અથવા સ્થાનિક સત્તાતંત્ર દ્વારા કોઈપણ કામગીરી સોંપવામાં આવે તો તેના અનુસંધાને રાજ્ય સરકાર અને / અથવા રથાનિક સત્તાતંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ખાનગી શાળાઓ ( સ્વનિર્ભર શાળાઓ ) ના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ જવામાંથી મુક્તિ આપવામાં આવે છે.