રાજકોટઃ મોંઘવારીને કાબુમાં લેવા તથા ભાવવધારાને રોકવા સામે કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેતા સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત દેશભરના ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. કાલે સોમવારથી રાજકોટ સહિતના માર્કેટયાર્ડોમાં ડુંગળીના વેપાર બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાતોરાત ડુંગળીની નિકાસબંધી લાગુ કરતા ભાવ એક જ ઝાટકે 25 ટકા જેટલા ઘટી જતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં રૂા.700-800ના ભાવે વેચાતી ડુંગળીના ભાવ ગગડીને રૂપિયા 500થી 600 બોલાયા હતા. જેથી ખેડૂતોમાં જબરો વિરોધ ઊઠ્યો હતો. વેપારીઓમાં પણ તીવ્ર પ્રત્યાઘાતો હતા તેને પગલે ગુજરાત સહિતના યાર્ડોમાં વેપારબંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ યાર્ડમાં પણ સોમવારથી ડુંગળીની આવક-હરરાજી-વેપાર બંધ થઇ જશે. હાલ ડુંગળીની સિઝન શરૂ થવાની તૈયારી છે. શિયાળાની સિઝનની શરૂઆતમાં ડુંગળીની આવકમાં વધારો થતો હોય છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર રોક લગાવી દેવામાં આવી છે. જેને લીધે લાલ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. લાલ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. સરકારે ડુંગળીની નિકાસ બંધ કરતા એક જ દિવસમાં ભાવમાં રૂપિયા 300નો કડાકો થયો છે. ડુંગળીના ભાવ રાતોરાત ગગડી જતા ખેડૂતોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ગોંડલ યાર્ડમાં ખેડૂતોએ “ભાજપ સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ ના મળતા ખેડૂતોએ હરરાજી બંધ કરાવી છે. આશરે 30 મિનિટ હરાજી બંધ રહી હતી. બાદમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન કરતા ફરી રાબેતા મુજબ હરરાજી ચાલુ કરી દેવામાં આવી છે. ખેડૂતોએ ભાજપ સરકાર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. નિકાસ બંધી થતા ડુંગળીના ભાવમાં રૂપિયા પ્રતિ મણે રૂપિયા 300નું ગાબડું પડ્યું છે. યાર્ડમાં હરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100થી લઈને 400 સુધીના બોલાયા છે. માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસ પહેલા ડુંગળીના 90,000 કટ્ટા વચ્ચે આવક બંધ કરાઈ હતી. ડુંગળીની નિકાસ બંધી થતા યાર્ડમાં ડુંગળીની આવક ન કરવા વેપારીઓએ યાર્ડ સતાધીશોને અનુરોધ કર્યો હતો.