Site icon Revoi.in

બિપરજોયની આંખ પાકિસ્તાનમાં પ્રવેશી, સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીના હજારો થાંભલાં, અને વૃક્ષો ધરાશાયી

Social Share

અમદાવાદઃ ‘બિપરજોય’ વાવાઝોડાનું ગુજરાતના દરિયાકાંઠે મધરાતે લેન્ડફોલ થતા જ જળ,જમીન અને વાયુમાં તોફાન જ તોફાન જોવા મળ્યું. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા પર ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિગ્ઝ ધરાશાયી થયા છે. રાજ્યના 169 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભુજમાં ચાર ઈંચથી વધુ, મુન્દ્રામાં ત્રણ ઈંચથી વધુ, તેમજ જુનાગઢ દેભૂમિ દ્વારકા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા રાજકોટ, ખેડા મોરબી, અમરેલી, સહિતના જિલ્લામાં રાત્રે વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. વાવાઝોડાએ કચ્છમાં સૌથી વધુ નુકશાન કર્યું છે. વાવાઝોડાના કારણે અનેક વિસ્તારમાં વીજપોલ જમીનદોસ્ત થતા અનેક ગામડાઓમાં રાત્રે અંધારપટ છવાઈ ગયો છે. ‘બિપરજોય’ વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી. સાયક્લોનની આંખ પાકિસ્તાન તરફ ટચ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 16 જૂનના રોજ સવારે 10 વાગ્યે સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે સમીક્ષા બેઠક કરશે. આ બેઠક બાદ વાવાઝોડાની તમામ ગતિવિધિઓ અંગે વડાપ્રધાનને વાકેફ કરી શકે છે. બ્રિફીંગ બાદ આગામી 48 કલાકમાં હવાઈ નિરીક્ષણ કરી વાવાઝોડાની સ્થિતિનો તાગ મેળવી શકે છે.

રાહત કમિશ્નર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, સાયક્લોનની આંખ પાકિસ્તાન તરફ ટચ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. કચ્છમાં હવાની 108 કિમીની ગતિ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ચક્રવાત મુજબ 940 ગામોમાં વીજપોલ પડ્યા છે. હાલ દ્વારકામાં પણ 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડામાં માનવમૃત્યુની હજૂ ઘટના સામે આવી નથી. જ્યારે ઘાયલ લોકોનો આંક 22 છે. 23 પશુઓના મૃત્યુ થયાનો આંક પ્રાપ્ત થયો છે જયારે 524 વૃક્ષો ધરાશાયી થયા છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જો આવતીકાલે હવામાન સારું હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છની મુલાકાત‌ લઈ શકે છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભારે પવનના કારણે વૃક્ષો ઉખડી ગયા છે, તો વીજ થાંભલા ઉખડી જવાથી ચોમેર અંધારપટ છવાયો છે. મધરાતે વાવાઝોડાની આંખ પાકિસ્તાનમાં પ્રવેશવાની શરૂ થઈ હતી. એક આંકડા મુજબ કચ્છમાં 940 ગામોમાં વીજપોલ પડ્યા, તો 524 વૃક્ષો ધરાશાયી થયા હતા. જો કે માનવ મૃત્યુની ઘટના હજુ સામે આવી નથી. ઘાયલ લોકોની સંખ્યા 22 છે તો પશુ મૃત્યુનો આંક 23 છે, મહત્વનું છે કે પાકિસ્તાન થઈને દક્ષિણ રાજસ્થાન તરફ ચક્રવાત આગળ વધશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું ટકરાયું છે. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં, નખત્રાણામાં, ભચાઉમાં, અંજારમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  કોઈ મુશ્કેલ નહીં હોય તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરી શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નિરીક્ષણ કરશે. હવામાનમાં પવન વધારે હોય તો શનિવાર જશે.