Site icon Revoi.in

વડોદરાના હોડી દુર્ઘટનાથી લોકોનું ધ્યાન ભટકાવવા BJPએ MLAના રાજીનામાંનો ખેલ પાડ્યોઃ કોંગ્રેસ

Social Share

વડોદરાઃ  વડોદરાના હોડી દુર્ઘટનાના દુઃખદ બનાવથી લોકોનું  ઘ્યાન ભડકાવવા માટે ભાજપે ધારાસભ્યના રાજીનામાનો ખેલ પાડ્યો છે. વડાદરામાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના અપમૃત્યુ માટે તંત્રની બેદરકારી અને નિષ્કાળજી જવાબદાર છે. ભાજપએ  પોતાના તંત્રની નિષ્ફળતાથી ઘ્યાન ભડકાવવા, માત્ર હેડલાઇન મેનેજમેન્ટ માટે ઘટનાના 24 કલાક ના થયા હોય ત્યારે આવું અસંવેદનશીલ પગલું ગુજરાતને શરમાવે અને લોકતંત્રને લજવે તેવું છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં હરણીના લેકમાં હોડી દુર્ઘટનામાં બે શિક્ષકો સહિત 12 બાળકોના ડુબી જતાં મોત નિપજ્યા છે. આવી ઘટના માટે ભાજપની સરકાર જવાબદાર છે. NCRB ના આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ડૂબવાના 8710   ઘટના ઘટી છે, જેમાં 9115 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં બોટ (હોડી) અકસ્માતના 39 ઘટના બની છે જેમાં 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ 2019માં બોટ (હોડી) અકસ્માતમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ડૂબવાથી વર્ષ 2022માં  1959  જીવ ગુમાવ્યા હતા. જ્યારે વર્ષ 2021માં  1711,  વર્ષ 2020માં  1906,  વર્ષ 2019માં 1869  અને  વર્ષ 2018માં  1670  લોકોએ જીવ ગુમાવ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે,  ભાજપ સરકારે માત્ર સહાય અને આશ્વાસન સિવાય હજુ સુધી કોઈ નક્કર પગલા લીધા નથી. ત્યારે ગુજરાતના નિર્દોષ લોકોના તંત્રની બેદરકારીના લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.  ક્ષમતા કરતા વધારે લોકોને બોટ (હોડી)માં બેસાડાય, પુરતા લાઈફ જેકેટ ના હોય, જેના ઉપર તંત્રની દેખરેખ ના હોય અને પુરતા નિયમોનું પાલન થતુ ન હોય ત્યારે નિર્દોષ જનતાએ ભોગવવું પડે છે. તંત્ર અને સરકાર નક્કર અને જવાબદાર પગલા લે અને જે તે સરકારી મગરમચ્છો એ બેદરકારી દાખવી હોય તેમના ઉપર પણ ઉદાહરણ રૂપ પગલા લેવા જોઈએ.