Site icon Revoi.in

ભારતમાં હજુ પણ રોકડનું જ ચલણ, 1 મહિનામાં ATMમાંથી લોકોએ 26 લાખ કરોડ રૂપિયા ઉપાડ્યા

Social Share

નવી દિલ્હી: મોદી સરકાર ભલે કેશલેસ ઇન્ડિયાને વધુને વધુ પ્રોત્સાહન આપવા માટે પ્રયાસરત હોય પરંતુ હજુ પણ ભારતીયો રોકડ રકમમાં વ્યવહાર કરવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. ડિજીટલ ઇન્ડિયાના સરકારના પ્રયાસોને કેટલાક અંશે ચોક્કસપણે સફળતા સાંપડી છે પરંતુ હજુ પણ ઘણા ભારતીયો માટે રોકડ રકમમાં જ વ્યવહાર કરવો પ્રાથમિકતા હોય છે.

લોકો રોકડથી કેટલો વ્યવહાર કરે છે તેનો ચિતાર રજૂ કરતા આંકડાઓ પર નજર કરીએ તો ચિત્ર સ્પષ્ટ થાય છે. કોરોના કાળ બાદ લોકોએ ATMમાંથી રોકડ ઉપાડવાનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. ભારતના લોકો 1 વખતમાં ATMમાંથી સરેરાશ 5000 રૂપિયા ઉપાડી રહ્યા છે. ઑગસ્ટ મહિનાની જ વાત કરીએ તો લોકોએ પોતાના ડેબિટ કાર્ડ થકી 26 લાખ કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. જે જીડીપીના 12 ટકા છે.

બીજી તરફ ડિજીટલ ટ્રાન્ઝેક્શન પણ વધ્યું છે પરંતુ તેમ છત્તાં આંકડા પર નજર કરીએ તો બજારમાં હજુ પણ રોકડની જ બોલબાલા છે. ગત વર્ષના નવેમ્બર માસની સરખામણીએ આ વર્ષે ATMમાંથી રોકડ ઉપાડવામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાણકારો અનુસાર, રોકડ ભારતના અર્થતંત્રનો મહત્વનો હિસ્સો છે અને હવે ATMની સરળતાથી ઉપલબ્ધતાને કારણે લોકો રોકડ સરળતાપૂર્વક ઉપાડી શકે છે. કોરોનાના સંકટકાળમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં રોકડ ઉપાડમાં ઘટાડો થયો હતો પરંતુ જૂન મહિનાથી ફરી રોકડનું ચલણ શરૂ થઇ ગયું છે.

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે ત્યારે રોકડ ઉપાડવાનો ટ્રેન્ડ વધી જશે. એક કારણ એ પણ હોઇ શકે છે કે કોરોના સંક્રમણના કેસ વધતા ફરીથી સરકાર દ્વારા લોકડાઉન લાગૂ કરવામાં આવે કે ઇમરજન્સીની સ્થિતિ સર્જાય તો આ સમયમાં રોકડ ઉપયોગી બને તે માટે પણ લોકો રોકડને પ્રાધાન્ય આપી રહ્યા છે.

(સંકેત)