Site icon Revoi.in

અર્થતંત્ર રિકવરીના માર્ગ પર, બીજા ત્રિમાસિકમાં GDPમાં 7.5%નો ઘટાડો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રને પડેલા ફટકા બાદ હવે અર્થતંત્રમાં રિકવરીના સંકેતો મળી રહ્યા છે. દેશવ્યાપી લોકડાઉનને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળામાં મોટો ફટકો પડ્યો હતો જે પછી બીજી ત્રિમાસિકના જીડીપી આંકડા અનુમાનથી સારા આવ્યા હતા. લોકડાઉન દરમિયાન લગભગ ઠપ થયેલા અર્થતંત્ર વચ્ચે બીજા ત્રિમાસિક ગાળામાં GDPમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો જે પહેલા ત્રિમાસિક ગાળામાં માઇનસ 23.9 ટકા હતો.

કોરોના મહામારીની શરૂઆત બાદ દેશભરમાં માર્ચ મહિનાથી 2 મહિના જેવું લોકડાઉન રહ્યું હતું. જ્યારે મે મહિનાના અંતમાં સરકારે આર્થિક ગતિવિધિઓ અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જો કે GDPના ત્રિમાસિક આંકડાઓ જાહેર થવાની શરૂઆત 1996માં કરાઇ હતી ત્યારથી આ પ્રથમવાર બન્યું છે કે દેશમાં ટેકનિકલ મંદીનો ડર છે. અર્થશાસ્ત્રીઓએ GDPમાં માઇનસ 8.8 ટકાના ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું.

બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન ખાસ કરીને ખેતી, મત્સ્યપાલન અને વન વિજ્ઞાન ક્ષેત્રે તેજી નોંધાઇ હતી. મેન્યુફેક્ચરિંગ, વીજળી, ગેસ, જળ પૂરવઠો અને અન્ય ક્ષેત્રોમાં પણ નોંધનીય સુધારા જોવા મળ્યા હતા. બીજા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં રિકવરીના સંકેતોથી રોજગારીનું સર્જન થશે તેવી આશા જાગી હતી અને કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમની માંગ પણ વધી શકે છે.

અર્થશાસ્ત્રીઓ અનુસાર નાણાકીય વર્ષ 2021-22 એટલે કે એપ્રિલ 2021 પછી ગ્રાહકોની માંગમાં ફરી વાર તેજી સાથે અર્થવ્યવસ્થા પણ તેજી આવી શકે છે. સરકારે હાલમાં જ ભારતીય અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે આત્મનિર્ભર ભારત યોજના હેઠળ ત્રીજા પેકેજની જાહેરાત કરી હતી.

(સંકેત)