નવી દિલ્હીઃ દેશભરમાં સંરક્ષિત જંગલો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસનો એક કિમીનો વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન (ઇએસઝેડ) હશે. આ વિસ્તારમાં હવેથી કોંક્રીટનું બાંધકામ, ખાણ કામ તેમ જ કારખાનાને પરવાનગી આપવામાં આવશે નહીં એવો આદેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ટી. એન. ગોદાવરમન પ્રકરણે સુનાવણી કરતા ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર રાવ, ન્યાયાધીશ બી. આર. ગવઇ અને ન્યાયાધીશ અનિરુદ્ધ બોસની ખંડપીઠે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. હાલમાં ઇકો-સેન્સિટિવ ઝોનમાં જે બાંધકામ ચાલી રહ્યું છે, તે રાજ્યના મુખ્ય વન અધિકારીની પરવાનગીથી જ ચાલુ રાખી શકાશે. જો સંરક્ષિત જંગલની આસપાસ એક કિમી આગળ ઈકો-સેન્સિટિવ ઝોન પહેલેથી જ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હોય, તો આવા વિસ્તારને ઇએસઝેડની હદ માનવામાં આવશે, એમ ખંડપીઠે ચુકાદો આપતી વખતે ઉલ્લેખ કર્યો હતો. તે જ સમયે, કોર્ટે તમામ રાજ્યોને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના સંરક્ષિત જંગલો અને રાષ્ટ્રીય ઉદ્યાનનું સંરક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇએસઝેડ અને આસપાસના વિસ્તારોમાં બાંધકામ બંધ કરવાનો આદેશ પણ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.