Site icon Revoi.in

સરકારી શાળાઓના બાળકોને વડનગર સહિત ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવાશેઃ શિક્ષણ મંત્રી

Social Share

ગાંધીનગરઃ શાળા દરમિયાન યોજાતા પ્રવાસો બાળકોને મોટા થાય ત્યાં સુધી યાદ રહેતા હોય છે. બાળકોના વિકાસ માટે પણ શાળા પ્રવાસો જરૂરી છે. બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ જ્ઞાન આપવું જરૂરી છે, અને એટલા માટે જ રાજ્ય સરકારે સરકારી શાળાઓના બાળકોને માટે સરકારી ખર્ચે શાળા પ્રવાસો યોજવાનું નક્કી કર્યુ છે. શાળાના બાળકોને વડનગર, મોઢેરા પાટણ સહિત ઐતિહાસિક સ્થળોના પ્રવાસે લઈ જવામાં આવશે. આ માટેનો ખર્ચ પણ રાજ્ય સરકાર જ કરશે. તેમ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યના બાળકો શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાથી પરિચિત થાય  તે માટે રાજ્ય સરકારે રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું જ્ઞાન આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોને શિક્ષણની સાથે સાથે રાજ્યના કલા વારસાથી પરિચિત કરવા અને ઐતિહાસિક ધરોહર સમાન આ વારસાનું આવનારી પેઢીમાં જતન થાય તેવા આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યભરની સરકારી શાળાઓમાં અપાતાં દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત રાજયની અંતરિયાળ વિસ્તારની સરકારી પ્રાથમિક શાળાના બાળકોને એક્સપોઝર વીઝીટના ભાગરૂપે ગુજરાતના ઐતહાસિક તથા સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરાવાશે. આઝાદીના અમૃત મહોત્સવની ઊજવણીના ભાગરૂપે વડનગરના ભવ્ય ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસાનો બહોળો પ્રચાર અને પ્રસાર કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ સ્થળ એવા વડનગરના ઐતિહાસિક સ્મારકો જેવા કે કીર્તિ તોરણ, તાનારીરી સ્મારક, હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ તથા સતલાસણાનું તારંગા હીલ, મોઢેરાનું સુર્યમંદિર, સિધ્ધપુરનું બિંદુ સરોવર, પાટણની રાણકીવાવ જેવા સ્થાપત્યોની માહિતી બાળકોને આપવામાં આવશે.