Site icon Revoi.in

વિદેશ મંત્રી એસ.જયશંકરના ભારત-ચીન વચ્ચેના સંબંધ અંગેના નિવેદનથી ચીન નારાજ

Social Share

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને તણાવ ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં વિદેશ મંત્રી એસ.જયશંકરએ મ્યુનિખ સુરક્ષા સંમેલન 2022માં પેનલ ચર્ચામાં ભારત-ચીન વચ્ચેના સંબધ ખરાબ સમયમાંથી પસાર થતા હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત-ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર વિવાદ એટલા માટે વધ્યો કેમ કે ચીનને બંને દેશ વચ્ચે થયેલા સીમા કરારનું ઉલ્લંઘન કર્યું છે. વિદેશ મંત્રીઆ નિવેદનથી ચીનના પેટમાં દુઃખાવો ઉપડ્યો છે. વિસ્તારવાદી ચીનને ભારતના વિદેશ મંત્રીનું સત્ય કડવુ લાગ્યું છે. ચીન સરકારના મુખપત્ર મનાતા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં લખ્યું છે કે, ભારત સીમા વિવાદ ઉપર આંતરરાષ્ટ્રીય કરવાની ખતરનાક કોશિષ કરી રહ્યું છે. જેથી ચીને સતર્ક રહેવાની જરૂર છે.

ગ્લાબલ ટાઈમ્સમાં એસ.જયશંકરના નિવેદનને લઈને એક રિપોર્ટ છપાયો છે. જેમાં લખ્યું છે કે, ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરએ એક બહુપક્ષીપ સ્થળ પર ભારત-ચીન સીમા વિવાદને લઈને બે વખત ઉલ્લેખ કર્યો છે. જ્યાં ચીન ઉપસ્થિત ન હતું. ભારત સરકાર આંતરરાષ્ટ્રીય સમુદાયની તાકાતનો ફાયદો ઉઠાવીને પોતાને આગળ વધારવા અને સીમા મુદ્દે આગથી રમવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવી ખતરનાક પ્રવૃતિથી ચીને સાવધાન રહેવાની જરૂર છે. ચીનના અખબારમાં લખવામાં આવ્યું છે કે, દ્રીપક્ષીપ વાતચીતથી મુદ્દાનો ઉકેલ નહીં આવતા ભારત તમામની સામે વિવાદનો મુદ્દો ઉઠાવી રહ્યું છે અને તેને આંતરાષ્ટ્રીય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત અન્ય દેશોની વચ્ચે પોતાની તાકાતનો લાભ ઉઠાવીને ચીન ઉપર સીમાને લઈને દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.