અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગમાં સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મીલી ભગતથી ભષ્ટ્રાચાર થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે રીતે રોડ એન્ડ બિલ્ડીંગ ખાતામાં કૌભાંડ થયું હતું. તેવું જ ફરી એકવાર કૌભાંડ કરાયુ છે. મ્યુનિ,ના સત્તાધિશો દ્વારા માનીતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના કામની લહાણી કરી રહ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરાયો છે.
મ્યુનિ.ના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, મ્યુનિ.ની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં એક જ કંપનીના પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને રૂ. 168 કરોડના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. શહેરમાં રોડ પ્રોજેક્ટના 100 ફૂટના રોડ બનાવવાના 30 કામમાંથી 28 કામો પોતાના માનીતા એક કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. એક જ કોન્ટ્રાકટરને 30માંથી 28 કામો આપવામાં આવ્યા છે જેનાથી ભ્રષ્ટાચાર થયો હોવાની પૂરી શક્યતા છે. શહેરમાં જ્યાં જરૂર હોય ત્યાં રોડ બનાવવાના હોય છે તેની કામગીરી કરવાની જગ્યાએ મ્યુનિની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને નવી ફૂટપાથો બનાવવાની, જૂની ફૂટપાથ તોડીને નવા બનાવેલા પેવર બ્લોક નાખવા જેવા કરોડો રૂપિયાના કામો કરાવે છે. પરંતુ ખરેખર જે શહેરની સમસ્યા તૂટેલા રોડની છે તે રોડ બનાવવાના કામ કરવામાં આવતા નથી. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ શહેરમાં કામગીરી પૂર્ણ થઇ ગઇ છે બધું કામ બરાબર ચાલે છે એવા દાવાઓ તો કરે છે, પરંતુ ખરેખર સ્થળ પર હકીકત અલગ છે. મ્યુનિ કોર્પોરેશનમાં માનીતા કોન્ટ્રાક્ટરોને જ બધા કામો કેમ મળે છે, તે તપાસનો વિષય છે.