Site icon Revoi.in

ગાંધી જયંતિએ રાજ્યભરમાં 14250 ગ્રામ પંચાયતોમાં યોજાશે ગ્રામસભા, વડાપ્રધાન મોદી સંવાદ કરશે

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે બુધવારે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેમાં મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી 2જી ઓકટોબરે રાજ્યભરની 14,250  ગ્રામ પંચાયતોમાં સવારે 10 થી 11 વાગ્યા દરમાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. કેબીનેટની બેઠકમાં  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી ગાંધી જયંતિથી પ્રારંભ થનારા રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન કલીન ઇન્ડીયા અને  ‘અમૃત 2.૦ મિશન’ના અભિયાન અંતર્ગત  ગુજરાતમાં આયોજન કરવા આખરી ઓપ આપાયો હતો.

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીઓએ જણાવ્યું હતું કે,  મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત સ્તરે મૂર્તિમંત કરવાના ઉદ્દેશ્યથી 2જી ઓકટોબરે રાજ્યભરની  14250  ગ્રામ પંચાયતોમાં સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠાના પાલનપૂર તાલુકાની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે.વડાપ્રધાન સવારે 11 કલાકે ગ્રામસભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ  ગ્રામ પંચાયતોમાં થશે એવું આયોજન રાજ્યના પંચાયત-ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરવામાં આવેલું છે. પ્રવકતા મંત્રીઓએ એમ પણ જણાવ્યું કે, ગુજરાતમાં સપ્ટેમ્બર-2022  સુધીમાં જલ જીવન મિશનનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે.

સરકારના પ્રવક્તા મંત્રીઓએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યમાં  92.92  લાખ ઘરો સામે 81.41 લાખ ઘરો એટલે કે  87.6  ટકા ઘરોનું નળ જોડાણ પૂર્ણ થઇ ગયુ છે, બાકી રહેલા ઘરોમાં આગામી એક વર્ષમાં જોડાણ પૂર્ણ કરાશે. ગ્રામસભાઓમાં જે એજન્ડાનો સમાવેશ થયો છે તેની વિગતો આપતાં પ્રવકતા મંત્રીઓએ ઉમેર્યું હતું કે, વિલેજ એકશન પ્લાન, હર ઘર જલ, પાણીના ઉપલબ્ધ સ્ત્રોત, પાણી સમિતી પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા-વિમર્શ અને માર્ગદર્શન અપાશે.

તેમણે જણાવ્યું કે, પૂજ્ય બાપૂના ‘સ્વચ્છતા ત્યાં પ્રભૂતા’ના સંદેશને આત્મસાત કરતાં સમગ્ર દેશમાં જે કલીન ઇન્ડીયા કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે તેનો પણ ગુજરાતના વિવિધ ગામો-નગરોમાં જનભાગીદારીથી પ્રારંભ કરાશે. તદઅનુસાર, ગ્રામસભાઓમાં જલ જીવન મિશન, સ્વચ્છતા અંગે જનજાગૃતિ, કોવિડ-19 વેક્સિનેશન માટે જનજાગૃતિ અને વતન પ્રેમ યોજના સહિત 15માં નાણાપંચની કુલ રૂ.5557 કરોડની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામો અંગે માર્ગદર્શન અપાશે.
કલીન ઇન્ડીયા કાર્યક્રમ અન્વયે ગ્રામ્યકક્ષાએ પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી રોગનિવારક પગલાં, સમગ્ર ઓકટોબર મહિના દરમ્યાન દરેક ગામોમાં સફાઇ ઝૂંબેશ મહાઅભિયાન હાથ ધરવામાં આવશે તેની પણ વિસ્તૃત છણાવટ પ્રવકતા મંત્રીઓએ કરી હતી.

(file photo)