Site icon Revoi.in

રાજુલાના પીપાવાવ નજીક ગુડ્ઝ ટ્રેને બે સિંહને ટક્કર મારી, એક સિંહનું મોત, એકને ઈજા

Social Share

અમદાવાદઃ અમરેલી જિલ્લામાં રાજુલા-પીપાવાવ બંદર હોવાથી તેમજ આ વિસ્તારમાં અનેક ઉદ્યોગો આવેલા હોવાથી ગુડઝ ટ્રેનની અવર-જવર વધુ રહેતી હોય છે. આ વિસ્તારમાં સિંહોનો પણ વસવાટ હોવાથી સિંહો અવાર-નવાર રેલવે ટ્રેક પર આવી જતાં હોય છે. આથી રેલવે ટ્રેકની બન્ને બાજુએ ફેન્સિંગ કરવામાં આવી છે, જેથી સિંહ ટ્રેક પર ન આવી શકે. પરંતુ આમ છતાં સિંહો ટ્રેક પર આવી જાય છે. દરમિયાન પીપાવાવથી ગુડઝ ટ્રેન આવી રહી હતી ત્યારે ટ્રેનના ચાલકે ટ્રેક પર બે સિંહ બેઠેલા જોતા વ્હીસલ મારીને સિંહને ટ્રેક પરથી હટાવવાના પ્રયાસો કર્યો હતો. પણ  સિંહો ટ્રેક પર જ બેસી રહ્યા હતા. બન્ને સિંહોને ટ્રેનની ટક્કર લાગતા એક સિંહનું મોત નિપજ્યું હતું જ્યારે બીજા સિંહને સારવાર માટે જુનાગઢ ઝૂ માં લઈ જવાયો હતો.

વન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલી જિલ્લાના રાજુલા પીપાવાવ નજીક ગુડઝ ટ્રેનની અડફેટે આવી જતાં સિંહનુ મોત નિપજ્યું હતુ. રાજુલા-પીપાવાવ વિસ્તારમાં ગત રાતે એક સિંહ પરિવાર ફેન્સિંગ હોવા છતાં રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક માલગાડી આવી જતા બે સિંહ અડફેટે આવી ગયા હતા. જેમાંથી એકનું મોત થયું હતું. જ્યારે એક સિંહને ઈજા પહોંચી હતી. તેને જૂનાગઢ ઝૂ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ટ્રેનના ચાલકે ઈમર્જન્સી બ્રેક તો મારી હતી છતાં પણ એક સિંહને બચાવી શકાયો ન હતો.  આ ઘટના બાદ વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. અકસ્માતનો બનાવ કેવી રીતે બન્યો? સિંહો કયા વિસ્તારમાંથી રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા, તેને લઈ અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી.

રાજુલા રેન્જ RFOએ જણાવ્યું હતું કે, 2 સિંહને રેલવે સેવકોએ બચાવી લીધા હતા. ઈમર્જન્સી બ્રેક મારવામાં આવતા 2નો બચાવ થયો હતો. પરંતુ એકનું મોત થયું છે અને એક સિંહ ઇજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હાલ અમારી ટીમ તપાસ કરી રહી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, તાઉ-તે વાવાઝોડા બાદ આ ફેન્સિંગનું સમારકામ કરવામાં આવ્યું નથી. જે બાબતે સરકારનું પણ ઘણી વખત ધ્યાન દોરવામાં આવ્યું છે. ત્યારે સરકાર આ બાબતે તાત્કાલિક સમારકામ હાથ ધરે તો બીજા સિંહોનાં મોત થતાં અટકી શકે છે.ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન અટકાવવા માટે તાકીદે ફેન્સિંગનું સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે.