Site icon Revoi.in

ગુજરાત હાઉસિંગ અને સ્લમની યોજનામાં હપતા ન ભરી શકનારાને 100 ટકા પેનલ્ટી માફી મળશે

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના અન્‍વયે તા. 31 માર્ચ 2024 સુધી 100 ટકા પેનલ્ટી માફી આપવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. વધુમાં વધુ લાભાર્થીઓ લાભ મેળવી શકે તે હેતુથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને બાકી હપ્તાની રકમ ભરપાઇ કર્યેથી 100 ટકા પેનલ્ટી માફી યોજના “મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના” તા. 31 માર્ચ 2024 સુધીના સમય માટે જાહેર કરી છે.

મુખ્યમંત્રીના આ નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ ક્લીયરન્સ સેલની જુની યોજનાઓમાં બાકી રહેતા લાભાર્થીઓના પરિવારજનોને પણ લાભ મળી શકશે. એટલું જ નહિ, સમય-મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા લાભાર્થીઓ માટે પણ વાર્ષિક 8 ટકા વ્યાજના દરે પેનલ્ટીની જોગવાઇને લીધે બાકી પેનલ્ટીના વ્યાજમાં પણ ઘટાડો કરવાનો અભૂતપૂર્વ નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાલક્ષી નિર્ણયથી ગુજરાત હાઉસીંગ બોર્ડને બાકી હપ્તાની વસુલાત થશે અને નવા આવાસોના આયોજન માટે આર્થિક વેગ મળશે. આ ઉપરાંત મકાન ધારકોને પેનલ્ટી માફી મળતાં હપ્તા પેટેની રકમ તેઓ ભરીને પોતાનો માલિકી દસ્તાવેજ કરાવી શકશે. આના પરિણામે હાઉસીંગ બોર્ડના જૂના મકાનોનું રિ-ડેવલપમેન્‍ટ પણ હાથ ધરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે. કે, ગુજરાત હાઉસિંગ બોર્ડ અવે સ્લમ ક્લીયરન્સ યોજનાની વસાહતોમાં અનેક પરિવારો એવો છે. કે, કોઈ કારણસર હપતા ન ભરી શકતાં પેનલ્ટી સાથે મોટી રકમ બાકી છે. આવા પરિવારો પેનલ્ટી માફ કરવાની માગણી કરી રહ્યા હતા. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્તુત્ય નિર્ણય લઈને ગરબી પરિવારોને મોટી રાહત આપી છે. અને 100 ટકા પનલ્ટી માફ કરી છે. એટલે હવે હપતાની બાકી રકમ પરિવારો 31મી માર્ચ-2024 સુધી ભરી શકશે.