Site icon Revoi.in

ગુજરાતઃ ‘શ્રવણ તીર્થ દર્શન યોજના’નો અત્યાર સુધી 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ લીધો લાભ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા યાત્રાધામોનો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો સરળતાથી દર્શન કરી શકે તે હેતુથી “શ્રવણ તીર્થ દર્શન યોજના”નો રાજ્ય સરકારે 1 મે 2017એ શુભારંભ કરાયો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરના જણાવ્યા મુજબ આ યોજનામાં અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ યાત્રાળુઓએ લાભ લીધો છે, જે માટે રાજ્ય સરકારે અંદાજે 1,128 લાખથી વધુનો ખર્ચ કર્યો છે. 
    
માહિતી મુજબ, આ યોજનાનો લાભ ગુજરાતના યાત્રાધામોના 3 રાત અને 3 દિવસ એમ 72 કલાક અથવા 2,000 કિ.મી સુધીની પ્રવાસની મર્યાદામાં  મળવાપાત્ર છે. આ યોજના હેઠળ લાભ લેવા માટે યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણાશે, વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. ઓછામાં ઓછા 27 યાત્રાળુઓએ યાત્રા માટે સમૂહમાં અરજી કરવાની રહેશે. 

આ યોજનામાં STની નોન એ.સી. સુપરબસ, STની નોન એ.સી મીની બસ, STની નોન એ.સી. સ્લીપર કોચનું ભાડું અથવા જો ખાનગી બસ ભાડે કરી હોય તો ખાનગી બસનું ભાડાની 75 ટકા રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જેમાં 27થી 35 યાત્રાળુઓ સુધી મીની બસનું તથા 36થી 56 યાત્રાળુઓ સુધી એક્સપ્રેસ-સુપરબસનું ભાડું મળવાપાત્ર છે.