Site icon Revoi.in

MPમાં દિલ ડહોળનારી ઘટના: 7 લોકોએ પત્નીની છેડતી કરીને માર માર્યો, પતિએ 2 બાળકો સાથે કર્યો આપઘાત

Social Share

મંદસૌર: મધ્યપ્રદેશના મંદસૌરમાં દિલ ડખોળનારી ઘટના સામે આવી છે. એક પિતાએ પોતાની 12 વર્ષની પુત્રી અને 10 વર્ષના પુત્ર સાથે ફાંસી ખાઈને જીવ આપ્યો છે. આ ત્રણેયની લાશો આંબાના વૃક્ષ પર લટકતી મળી આવી છે.

આ ઘટના શામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના રુંડી ગામની છે, જ્યાં બંજારા સમાજના યુવકે પોતાની પુત્રી અને પુત્ર સાથે આપઘાત કરી લીધો. મરતા પહેલા યુવકે પોતાની સાથેના ઘટનાક્રમનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ પણ કર્યો છે.

મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું છે કે ત્રણ માસ પહેલા પત્ની નૈની બંજારા સાથે ગામના રાજૂ, કાળુ, સોનુ, ગીતાબાઈ, નોજીબાઈ, લીલાબાઈ અને ગોવિંદે મારપીટ અને છેડતી કરી હતી. આ તમામ લોકોને પોતાના અને બાળકોના મોત માટે જવાબદાર ઠેરવ્યા છે. મૃતકે પોતાની સુસાઈડ નોટમાં પોલીસ સમક્ષ માગણી કરી છે કે આરોપીઓને ફાંસીની સજા મળે.

જાણકારી પ્રમાણે, મૃતકની પત્નીની સાથે ગામના જ એક પરિવારના મહિલા-પુરુષો દ્વારા કરવામાં આવેલી મારપીટ અને છેડતીથી મૃતક આઘાતમાં હતો. ગત રવિવારે સાંજે જ બાળકોને મળવા તે ત્રણ માસ બાદ ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચ્યા બાદ તેણે બાળકોને શામગઢ લઈ જઈને શોપિંગ કરાવ્યું હતું. તેના પછી મંગળવારે સવારે ત્રણેયની લાશ પાસે જ ગામમાં એક વૃક્ષ સાથે લટકતી મળી આવી હતી.

ત્રણેયની લાશો વૃક્ષ પર લટકતી મળ્યા બાદ મૃતકની પત્ની અને પરિવારજનો અહીં પહોંચ્યા હતા અને બદમાશો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આક્રોશિત લોકો આરોપીઓના ઘરે પહોંચ્યા અને ત્યાં તોડફોડ પણ કરી હતી. આ ઘર્ષણ દરમિયાન આક્રોશિત લોકોની પોલીસ સાથે બોલાચાલી પણ થઈહતી.

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ કહ્યુ કે લોકોને સમજાવીને શાંત કરાવવામાં આવ્યા અને ત્રણ લાશોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે. પોલીસ આ મામલામાં ફરિયાદ નોંધીને આરોપીના ગેરકાયદેસર મકાનની તપાસમાં લાગી ગઈ છે. આશ્વાસન આપવામાં આવ્યું છે કે જલ્દી પ્રશાસનની ટીમ આના પર કાર્યવાહી પણ કરશે. જો કે આ મામલા સાથે જોડાયેલો આરોપી હાલ ફરાર છે.

આ ઘટનાને લઈને મંદસૌરના એસપી અનુરાગ સુજનિયાએ જણાવ્યુ છે કે માહિતી મળી હતી કે ત્રણ લોકોની ફાંસી લગાવેલી લાશ મળી હતી,ત્રણેયની લાશોને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. આ મામલાની તપાસ કરાય રહી છે.