અમદાવાદઃ ગુજરાતમાં વાર-તહેવારે ગામ-પરગામ જનારાની સંખ્યા વધુ રહેતી હોય છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે તો સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક વધુ રહેતો હોય છે. ત્યારે ઉત્તરાણના તહેવારોને લીધે ટ્રાફિકમાં જબરો વધારો થયો છે. અમદાવાદથી મુંબઈ જતી અને આવતી તમામ ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતીઓ ઉત્તરાયણ માટે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી માદરે વતન પરત ફરતા હોય છે. મોટી સંખ્યામાં આવતા ગુજરાતીઓના કારણે મુંબઈથી અમદાવાદ તરફથી આવતી લગભગ તમામ ટ્રેનોમાં હાલ વેઈટિંગ ચાલી રહ્યું છે. જેમાં સૌથી વધુ વેઈટિંગ ગુજરાત મેલમાં છે. સ્લીપરમાં વેઈટિંગ 200ને પાર, થર્ડ એસીમાં 100ને પાર, સેકન્ડ એસીમાં 60થી વધુ તેમજ ફર્સ્ટ એસીમાં પણ 9થી વધુ વેઈટિંગ છે. પ્રીમિયમ ટ્રેન વંદે ભારતમાં પણ ચેરકારમાં 220થી વધુ તેમજ એક્ઝિક્યુટિવ ચેરકારમાં 54થી વધુ વેઈટિંગ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મુંબઈ વચ્ચે દરરોજ 35 જેટલી ટ્રેનો દોડે છે. અને મોટાભાગની ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું છે. કેટલાક પ્રવાસીઓ ટ્રેનોમાં તત્કાલ ક્વોટામાંથી ટિકિટ લઈને અથવા ફ્લાઈટમાં પ્રવાસ કરીને મુંબઈ પહોંચી રહ્યા છે.
પશ્વિમ રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉત્તરાયણ તહેવાર દરમિયાન ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ જોતા પેસેન્જરોની સુવિધા માટે રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનની એક ટ્રીપ દોડાવવાની જાહેરાત કરી છે. આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શનિવાર, 14 જાન્યુઆરીએ બાંદ્રા ટર્મિનસથી સવારે 5.30 કલાકે ઉપડશે. અમદાવાદથી આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 15 જાન્યુઆરીએ સવારે 6 કલાકે ઉપડશે. સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તેમજ જનરલ કોચ ધરાવતી આ ટ્રેન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનનું આજથી યાને 13 જાન્યુઆરીથી બુકિંગ શરૂ થઈ ગયું છે.