- ગૃહમંત્રાલયનો રાજ્યને પત્ર
- કોરોનાથી મરનારના પરિવારને 50 હજારની સહાય જારી કરે
દિલ્હીઃ વિતેલા વર્ષથી દેશમાં કોરોના મહામારીનું જોખમ વર્તાયું હતું જેમાં ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે,ત્યારે હવે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને આવનારા તહેવારોની સીઝનમાં કોરોના વાયરસ મહામારીને ટાળવા માટે યોગ્ય વર્તન અંગે પત્ર લખ્યો હતો.
ગૃહમંત્રાલયે લખેલા આ પત્રમાં, ભલ્લાએ લખ્યું છે કે હું વિનંતી કરું છું કે તહેવારોની સીઝનમાં કોરોના વાયરસ મહામારીવ સામે રક્ષણ માટે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા જરૂરી પગલાં લેવામાં આવે, આ માટે તમામ જિલ્લાઓ અને અન્ય સંબંધિત સ્થાનિક અધિકારીઓને સૂચનાઓ જારી કરવામાં આવે છે.
આ સાથે જ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કોરોના વાયરસ મહામારીને કારણે જીવ ગુમાવનારાઓના પરિવારોને 50-50 હજાર રૂપિયાની રકમ આપવાનો આદેશ પણ જારી કર્યો છે. મંત્રાલય દ્વારા આ સંદર્ભે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાત્ર લોકોને રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી વધારાની નક્કી કરેલી રકમ આપવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કોરોના મહામારીને કારણે જીવ ગુમાવનારાઓના પરિવારોને પ્રત્યેક 50 હજાર રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ સૂચવી છે. આ રકમ રાજ્યો દ્વારા ચૂકવવામાં આવશે.
આ પત્રમાં એમ પમ કહેવામાં આવ્યું છે કે એક્સ-ગ્રેશિયા રકમ આપવાનો નિર્ણય દેશમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ નોંધાય તે દિવસથી લાગુ પડશે અને આગામી આદેશો અથવા આપત્તિ તરીકે કોરોનાની સૂચના રદ ન થાય ત્યાં સુધી આ નિર્ણય ચાલુ રહેશે.અર્થાત ત્યા સુધી વળતર મળવા પાત્ર બનશે.