Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓ બની રહ્યા છે, ડાયાબિટીસના રોગી

Social Share

અમદાવાદ: ભારતના ડાયાબિટીસનું કેપિટલ ગણાતા ગુજરાતમાં કોરોના બાદ ડાયાબિટિસના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ડાયાબિટીસના દર્દીઓમાં થયેલો વધારો દેખીતો છે. કોરોનાના કારણે અથવા તેની સારવાર દરમિયાન દર્દીઓ ડાયાબિટીસની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જર્નલ ઓફ ડાયાબિટીસ, ઓબેસિટી એન્ડ મેટાબોલિઝમમાં ગત વર્ષે એક વૈશ્વિક એનાલિસિસ પ્રકાશિત થયું હતું, જે મુજબ કોરોનાના ગંભીર ઈન્ફેક્શન સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા 14.4 ટકા દર્દીઓ ડાયાબિટીસનો પણ શિકાર બન્યા હતા. નિષ્ણાતોનું માનીએ તો, કોરોનાના કારણે દેશભરમાં અંદાજે ડાયાબિટીસના નવા 1 કરોડ દર્દીઓ ઉમેરાશે. તેમ એક વરિષ્ઠ એન્ડોક્રિનોલોજિસ્ટે જણાવ્યું હતું. મહામારીના એક વર્ષ દરમિયાન આ તબીબે 80 એવા દર્દીઓની સારવાર કરી છે કે જેઓ કોરોનાનું સંક્રમણ થયા બાદ ડાયાબિટીસના રોગી બન્યા હતા.

તબીબોના મતે કોરોના સ્વાદુપિંડમાં ઈન્સ્યુલિન ઉત્પન્ન કરતાં બીટા સેલ્સ પર હુમલો કરી શકે છે. જેના કારણે આ કોષો નિષ્ક્રિય થાય છે અથવા તો તેમની કાર્ય પ્રણાલીમાં ક્ષતિ પેદા થાય છે અને તેના કારણે હાઈ બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસનો રોગ થાય છે. સ્ટીરોઈડનો ઉપયોગ પણ ડાયાબિટીસ થવાનું એક કારણ છે પરંતુ સામાન્ય રીતે આ હંગામી અને ઊલટાવી શકાય તેવું હોય છે. અગાઉથી રહેલા રિસ્ક ફેક્ટર જેવા કે, સ્થૂળતા, હાયપરટેન્શન, બેઠાડું જીવન અને મહામારીના કારણે ઉદભવેલો સ્ટ્રેસ પણ ટ્રીગર પોઈન્ટ બની શકે છે. રિસ્ક ફેક્ટર ધરાવતા ઘણાં દર્દીઓમાં કોરોનાના કારણે ડાયાબિટીસનું પ્રગટીકરણ ઝડપી બને છે. ઘણાં કિસ્સામાં એવું પણ બને છે કે, ડાયાબિટીસ હોય પરંતુ અગાઉ પકડાયો ના હોય. તબીબોના કહેવા મુજબ કોરોનાના કારણે ડાયાબિટીસ ટ્રીગર થાય છે કે કેમ અને જો થાય છે તો આ કાયમી રોગ છે કે મેટાબોલિઝમમાં આવેલા પરિવર્તનના કારણે હંગામી ધોરણે રહેશે અને પછી મટી જશે અથવા તો સ્ટીરોઈડ્સની અસર બાદ દૂર થઈ જશે, તે જાણવા માટેનો રાષ્ટ્રવ્યાપી સ્ટડી ચાલી રહ્યો છે અને તેમાં ગુજરાતના દર્દીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.