Site icon Revoi.in

શહીદ દિવસ: આજના દિવસે જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને મળી હતી ફાંસી

Social Share

ભારતની આઝાદી માટે આજના દિવસે હસતા-હસતા ફાંસીના ફંદાને ચુમીને તેના પર ઝુલી જનારા મહાન સ્વતંત્રતાસેનાની શહીદ-એ-આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના બલિદાનને દેશનો કોઈપણ વ્યક્તિ ક્યારેય ભૂલી શકશે નહીં. જ્યારે જ્યારે આઝાદીની વાત થશે, ત્યારે ત્યારે ઈન્કિલાબ ઝિંદાબાદનું સૂત્ર પોકારનારા ભારતમાતાના આ વીર સપૂતોને યાદ કરવામાં આવશે.

23 માર્ચ, 1931ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકૂમતે ફાંસીના માંચડે લટકાવીને આઝાદીની લડાઈને મારવાની કોશિશ કરી હતી. આ ત્રણેય સ્વતંત્રતાસેનાનીઓને ફાંસી આપવાની ઘટના ભારતના ઈતિહાસમાં નોંધાયેલી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ઘટનાઓમાંથી એક છે.

ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ 1928માં લાહોર ખાતે એક બ્રિટિશ જૂનિયર પોલીસ અધિકારી જૉન સૉન્ડર્સને ગોળી મારી અને તેની હત્યા કરી હતી. આ કેસ લાહોર ષડયંત્ર કેસ તરીકે ઓળખાય છે. આના સંદર્ભે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને બ્રિટિશ હુકૂમતે ફાંસીની સજા આપી હતી. ત્રણેય સ્વતંત્રતાસેનાનીઓને 23 માર્ચ, 1931ના રોજ લાહોર સેન્ટ્રલ જેલની અંદર ફાંસી આપવામાં આવી હતી. આ મામલામાં સુખદેવને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સજાની તારીખ 24 માર્ચની હોવા છતાં તેના એક દિવસ પહેલા 23 માર્ચે ત્રણેય સ્વતંત્રતાસેનાનીઓને અંગ્રજી હુકૂમતે ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા.

જે સમયે ભગતસિંહ જેલમાં હતા, ત્યારે તેમણે ઘણા પુસ્તકો વાંચ્યા હતા. 23 માર્ચ, 1931ની સાંજે લગભગ સાત વાગ્યે અને 33 મિનિટે ભગતસિંહ અને તેમના સાથીદારો સુખદેવ તથા રાજગુરુને ફાંસીની સજા આપવામાં આવી હતી. ફાંસીના માંચડે ચઢતા પહેલા ભગતસિંહ લેનિનનું જીવનચરિત્ર વાંચી રહ્યા હતા.

શહીદ-એ-આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદી દિવસના પ્રસંગે દેશભરમાં ઠેરઠેર ઘણાં કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ઘણાં સ્થાનો પર શહીદી દિવસને યુવા સશક્તિકરણ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ઘણાં સ્થાનો પર રક્તદાન શિબિરોનું પણ આયોજન થઈ રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યુ છે કે આઝાદીના અમર સેનાની વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદ દિવસે શત-શત નમન. ભારતમાતાના આ પરાક્રમી સપૂતોના ત્યાગ, સંઘર્ષ અને આદર્શની કહાની આ દેશને હંમેશા પ્રેરીત કરતી રહેશે. જયહિંદ.