Site icon Revoi.in

દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યાં જગદીપ ધનખડ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શપથ લેવડાવ્યાં

Social Share

નવી દિલ્હી: જગદીપ ધનખડએ ગુરુવારે દેશના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધનખરને શપથ લેવડાવ્યા હતા. ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, નિવૃત્ત ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઘણા કેબિનેટ પ્રધાનો હાજર રહ્યા હતા.

અગાઉ જગદીપ ધનખડએ બાપુના સ્મારકની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ભવન ખાતે જગદીપ ધનખડનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. 6 ઓગસ્ટે યોજાયેલી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 725 સાંસદોએ મતદાન કર્યું હતું. જેમાં 710 મત માન્ય અને 15 મત અમાન્ય જણાયા હતા. જેમાં જગદીપ ધનખડને 525 અને માર્ગારેટ આલ્વાને 182 વોટ મળ્યા હતા.

ધનખડએ પોતાની રાજકીય શરૂઆત જનતા દળથી કરી હતી. ધનખર 1989માં ઝુંઝુનુથી સાંસદ બન્યા હતા. તેમને 1989 થી 1991 દરમિયાન વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જો કે, જ્યારે જનતા દળે 1991ની લોકસભા ચૂંટણીમાં જગદીપ ધનખડની ટિકિટ કાપી હતી, ત્યારે તેઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા અને 1993માં અજમેરના કિશનગઢથી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા.

2003માં તેમનો કોંગ્રેસ સાથેનો મોહભંગ થયો અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયાં હતા. વર્ષ 2019માં જગદીપ ધનખડને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હતા.