Site icon Revoi.in

જસદણ-આટકોટ હાઈવે પર ડામર ઉખડી જતાં ગાબડાં પડ્યા, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

Social Share

રાજકોટઃ જસદણ-આટકોટ વચ્ચેના હાઈવે પર ડામર ઉખડી જવાથી રોડ ઉબડ-ખાબડ બની ગયો છે. જેના કારણે વાહનચાલકો ત્રાસી ગયા હતા.  રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.12 કરોડના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવા માટે મંજૂર કરાવતા આ રોડનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ રોડ બન્યાના ટૂંકા સમયમાં જ ઠેકઠેકાણે ગાબડાંઓ પડી જતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ જસદણ-આટકોટ રોડ પર દરરોજ બે હજારથી વધારે વાહનો પસાર તઈ રહ્યા છે. ત્યારે રોડ બિસ્માર બનતા વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

જસદણથી આટકોટ સુધીનો હાઈવે બિસ્માર બની ગયો છે. અને ડામર ઉખડી જવાથી રોડ પર ખાડા પડી ગયા છે. તેના ળીધે વાહનચાલકોને અકસ્માતનો ડર પણ સતાવી રહ્યો છે. જસદણના લોકોને રાજકોટ, ગોંડલ, ભાવનગર, અમરેલી સહિતના શહેરોમાં જવા માટે તેમજ આટકોટ, જીવાપર, પાંચવડા, સાણથલી સહિતના વિસ્તારના પંદરથી વધારે ગામડાના લોકોને તાલુકા મથક જસદણ આવવા માટે આવા બિસ્માર રસ્તા ઉપરથી નાછૂટકે પસાર થવું પડી રહ્યું છે. આ રોડમાં અનેક જગ્યાએ મસમોટા ગાબડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકોમાં સતત અકસ્માતનો ભય રહે છે. હાલ જસદણથી આટકોટ સુધીનો 7 કિલોમીટરનો રસ્તો કાપવામાં વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે .જોકે આ બિસ્માર રસ્તા અંગે તંત્રને પણ જાણ હોવા છતાં જાણી જોઈને આંખ આડા કાન કરાતા હોવાથી વાહનચાલકોમાં ભારે નારાજગી ઉઠી રહી છે. જેથી આ સમસ્યાનું વહેલી તકે નિવારણ કરવામાં આવે અને આ કામના કોન્ટ્રાક્ટરને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવાની સૂચના આપવામાં આવે તેવી આ રોડ પરથી પસાર થતા દરેક વાહનચાલકોની પ્રબળ માંગણી ઉઠવા પામી છે.