Site icon Revoi.in

મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિઃ તમામ અરજીઓનો 4 મહિનામાં નિકાલ લાવવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ

Social Share

લખનૌઃ મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. આ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કોર્ટને મૂળ કેસ સાથે સંબંધિત તમામ અરજીઓનો ચાર મહિનામાં વહેલામાં વહેલી તકે નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો છે.  હાઇકોર્ટે સુન્ની વક્ફ બોર્ડ અને અન્ય પક્ષકારોને સુનાવણીમાં હાજરી નહીં રહેતો એકપક્ષીય ઓર્ડર આપવાનો નિર્દેશ આપ્યો છે.

ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાનના વાદ મિત્ર મનીષ યાદવની અરજી ઉપર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે આ નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ સલિલ કુમાર રાયની સિંગલ બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ અરજી મથુરાની કોર્ટમાં જન્મભૂમિ વિવાદ સાથે સંબંધિત તમામ કેસોની સુનાવણી પૂર્ણ કરવા અને તેનો વહેલી તકે નિકાલ લાવવાની માંગ સાથે દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત મથુરાની કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોને ક્લબ કરીને એકસાથે સાંભળવાની પણ દાદ માંગવામાં આવી હતી.

મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મભૂમિ સ્થાન પરિસરમાં જે મંદિર બનેલું છે તેની નજીક જ ઈદગાહ-મસ્જીદ બનેલી છે. કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, જ્યાં આ ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે તે કંસની એ જ જેલ હતી જ્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. વર્ષ 1669-70 દરમિયાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબે શ્રી કૃષ્ણ જન્મભૂમિના સ્થળે બનેલા મંદિરને તોડી પાડ્યું અને ત્યાં આ ઈદગાહ મસ્જિદ બનાવી. હાલમાં આ મામલો ફરી એકવાર કોર્ટમાં પહોંચ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ ઉપરાંત અન્ય જ્ઞાનવાપી મસ્જીદમાં સર્વે અને તાજમહેલના બંધ દરવાજા ખોલવા અંગેની અરજીની પણ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી.