Site icon Revoi.in

મોદી-બાઈડેન રશિયા-યુક્રેન યુદ્ધ સહિત આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

Social Share

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસીય અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના વ્હાઇટ હાઉસે માહિતી આપી છે કે પીએમ મોદી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે યુક્રેન મુદ્દે ચર્ચા કરી શકે છે. રાજદ્વારી સંચાર માટે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સંયોજક જોન કિર્બીએ કહ્યું કે બંને નેતાઓ શાંતિ પરિષદ અથવા શાંતિ પ્રસ્તાવ અંગે કેટલી હદે વાત કરશે, હું અત્યારે કહી શકતો નથી.

પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના આમંત્રણ પર 21 થી 24 જૂન સુધી અમેરિકાના પ્રવાસે ગયા છે. 22 જૂને જો બાઈડેન અને તેમની પત્ની જીલ બાઈડેન વતી પીએમ મોદી માટે વ્હાઇટ હાઉસમાં ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી 22 જૂને યુએસ કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કરશે.

મંગળવારે એક પત્રકાર પરિષદને સંબોધતા કિર્બીએ કહ્યું કે યુક્રેન શાંતિ પ્રક્રિયામાં ત્રીજા પક્ષ તરીકે દેશની ભૂમિકાનું અમે સ્વાગત કરીએ છીએ. આ મુદ્દે અત્યાર સુધી અન્ય દેશોની ભૂમિકા પર તેમણે કહ્યું- ‘અમે ઘણા સમયથી કહી રહ્યા છીએ કે શાંતિ પ્રક્રિયામાં સામેલ થર્ડ પાર્ટી દેશની ભૂમિકાનું સ્વાગત કરવામાં આવશે. અમે માનીએ છીએ કે શાંતિ પ્રક્રિયામાં ત્રીજા પક્ષના દેશોની આવી ભૂમિકા હોઈ શકે છે.

બાઈડેન અને પીએમ મોદી વચ્ચેની બેઠકમાં યુક્રેન યુદ્ધ પર ચર્ચા થશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં કિર્બીએ કહ્યું- ‘મારા મનમાં કોઈ શંકા નથી કે આ અઠવાડિયે પીએમ મોદીની મુલાકાત દરમિયાન યુક્રેનમાં યુદ્ધનો મુદ્દો આવશે. તેના વિશે કોઈ પ્રશ્ન નથી.

તેમણે કહ્યું- ‘હાલમાં મને એ વાતની કોઈ જાણકારી નથી કે બંને નેતાઓ શાંતિ પ્રસ્તાવ અને શાંતિ પરિષદ માટે કેટલી હદે વાત કરશે. આ માટે આપણે બંને નેતાઓની રાહ જોવી પડશે. પરંતુ આ બંનેને યુક્રેનની વર્તમાન સ્થિતિ વિશે વાત કરવાનો મોકો મળશે તેમાં કોઈ શંકા નથી.