Site icon Revoi.in

નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે યોજી બેઠક

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા સામાન્ય બજેટ પહેલાં નવી દિલ્હીમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રો સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી પણ હાજર હતા. ભારતના આર્થિક વિકાસ અને વિવિધ નીતિઓને ધ્યાનમાં રાખીને PM મોદીની વિવિધ અર્થશાસ્ત્રીઓ સાથેની આ બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

દેશની આર્થિક દિશાને આકાર આપવા ચર્ચા
આ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે દેશની આર્થિક દિશાને આકાર આપવાના ઉદ્દેશ્ય સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ બજેટ વિશેષ મહત્વ ધરાવે છે. વાસ્તવમાં, પીએમ મોદીની આગેવાની હેઠળની સરકારના ત્રીજા કાર્યકાળમાં આ પહેલો મોટો આર્થિક દસ્તાવેજ બનવા જઈ રહ્યો છે. તે ભારતના વિકાસ માટે વ્યૂહાત્મક રોડમેપની રૂપરેખા તૈયાર કરે તેવી અપેક્ષા છે, જેનો ઉદ્દેશ્ય તેને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે.

કેન્દ્રીય નાણામંત્રી પ્રી-બજેટ પરામર્શ બેઠકો કરી ચૂક્યા છે
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં નાણા મંત્રાલયમાં 19 જૂન 2024 થી કેન્દ્રીય બજેટ 2024-25 માટે પ્રી-બજેટ પરામર્શ પણ શરૂ થયો હતો જે 5 જુલાઈએ સમાપ્ત થયો હતો. વ્યક્તિગત પરામર્શ દરમિયાન, નિષ્ણાતો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સહિત 10 હિસ્સેદારોના જૂથોમાં 120થી વધુ આમંત્રિતોએ ભાગ લીધો હતો;

પરામર્શ બેઠકો દરમિયાન મળેલા મૂલ્યવાન સૂચનો
નાણાં પ્રધાન સીતારમણે મૂલ્યવાન સૂચનો શેર કરવા બદલ સહભાગીઓનો આભાર વ્યક્ત કર્યો અને નિષ્ણાતો અને પ્રતિનિધિઓને ખાતરી આપી કે કેન્દ્રીય બજેટ 2024-25ની તૈયારી કરતી વખતે તેમના સૂચનોની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવશે અને ધ્યાનમાં લેવામાં આવશે.

Exit mobile version