- હેલિકોપ્ટર દુર્ઘટનાનું કારણ જાણી શકાશે
- તપાસ ટીમ આજે સરકારને પોતાનો તપાસ રિપોર્ટ સુપરત કરશે
- તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરી રહ્યા છે
નવી દિલ્હી: તામિલનાડુના કુન્નૂરમાં 8 ડિસેમ્બરના રોજ થયેલા હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનાની તપાસ ટીમ આજે સરકારને પોતાનો રિપોર્ટ સુપરત કરે તેવી શક્યતા છે. હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ બિપિન રાવત, તેમના પત્નિ અને અન્ય 12 સૈનિકોના મોત થયા હતા. જે બાદ એરફોર્સે ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ ટીમનું નેતૃત્વ એર માર્શલ માનવેન્દ્ર સિંહ કરી રહ્યા છે.
સૂત્રો અનુસાર, તપાસ રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સુપરત કરાશે. અધિકારીઓએ જમીન સ્તરની તપાસ કર્યા બાદ વિગતવાર અહેવાલ તૈયાર કર્યો છે અને બ્લેક બોક્સમાંથી મળેલા ડેટાનું સંપૂર્ણ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. સૂત્રો અનુસાર પ્રાથમિક તપાસમાં અકસ્માત અચાનક થયો હોવાનું જણાય છે. તપાસ માટે અસલ સાધન ઉત્પાદકોની પણ મદદ લેવામાં આવી હતી.
આપને જણાવી દઇએ કે 8 ડિસેમ્બરના રોજ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 12 સૈન્ય અધિકારીઓ વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ એક કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હા ત્યારે તેમના Mi-17V5 હેલિકોપ્ટરમાં અચાનક આગ લાગી હતી અને બધા જ મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ હેલિકોપ્ટરની ગુણવત્તા પર પણ સવાલો ઉઠ્યા હતા.
ઘટનાની તપાસના આદેશ બાદ બ્લેક બોક્સ પણ પ્રાપ્ત થયું હતું. બ્લેક બોક્સને ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે. જેમાંથી અનેક પ્રકારની માહિતી મેળવી શકાય છે.