Site icon Revoi.in

ભારતમાં ટૂંક સમયમાં બાળકોની વેક્સિન આવશે, આ કંપનીએ માંગી મંજૂરી

Social Share

નવી દિલ્હી: ભારતમાં હવે ટૂંક સમયમાં બાળકો માટેની વેક્સિન આવી શકે છે. ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને ભારતમાં 12-17 વર્ષના બાળકો માટે વેક્સિનના ટ્રાયલ કરવાની પરવાનગી માંગી છે. કંપનીએ મંજૂરી માંગી એના સમાચાર એ સમયે આવ્યા છે જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ બાળકો માટે વિકસાવવામાં આવી રહેલી કોવિડ-19 વેક્સિન પર ચાલી રહેલા સંશોધનના પરિણામો આવતા મહિને આવી શકે છે તેવું કહ્યું હતું.

કંપનીએ પરવાનગી માંગતા હવે બાળકો માટેની વેક્સિન ટૂંક સમયમાં આવી શકે છે. માંડવિયાએ કહ્યું હતું કે, અમારો ઉદ્દેશ નાગરિકોને વેક્સિન આપવાનો છે. ભારત સરકારે બાળકો માટે કોવિડ-19 વેક્સિન વિકસિત કરવા માટે સંશોધન કરવા માટે ઝાયડસ કેડિલા તેમજ ભારત બાયોટેકને પહેલા જ મંજૂરી આપી દીધી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તેમના સંશોધનનાં પરિણામો આવતા મહિને આવશે.

AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું છે કે, ભારત બાયોટેકની CO-Vaccine 2 થી 18 વર્ષના જૂથના બીજા અને ત્રીજા તબક્કાની સ્ટડીના પરિણામ સપ્ટેમ્બર સુધીમાં આવી શકે છે.

સૂત્રોએ દાવો કર્યો હતો કે, ઝાયડસ કેડિલાની Zycov-D વેક્સિનને મંજૂરી મળી શકે છે. આ વેક્સિનનું પુખ્ત વયના લોકો તેમજ 12-18 વર્ષના કિશોરો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, DNA-plasmid આધારિત Zycov-D વેક્સિનના ત્રણ ડોઝ આપવામાં આવશે. તેને 2 થી 4 ડિગ્રી સેલ્સિયસના તાપમાને રાખી શકાય છે અને તેને કોલ્ડ ચેઇનની જરૂર રહેશે નહીં.

Zycov-D સરળતાથી દેશના કોઈપણ ભાગમાં પહોંચાડી શકાશે. બાયોટેકનોલોજી વિભાગ હેઠળના ઉપક્રમ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC) હેઠળ નેશનલ બાયોફાર્મા મિશન (NBM) દ્વારા વેક્સિનને સપોર્ટ આપવામાં આવ્યો છે.