Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં હવે દુષ્કર્મ આચરનારને મળશે મોતની સજા, કેબિનેટે શક્તિ એક્ટને આપી મંજૂરી

Social Share

મુંબઇ: સમાજમાં કિશોરીઓ અને મહિલા સાથે વધી રહેલી શારીરિક શોષણ અને અત્યાચારની ઘટનાઓને જોતા મહારાષ્ટ્રની ઉદ્વવ સરકાર એક્શનમાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે એક એવો કાયદો બનાવી રહી છે જેમાં દુષ્કર્મ કરનાર માટે મૃત્યુદંડની જોગવાઇ રહેશે. કેબિનેટ તરફથી આ બિલને મંજૂરી મળી ચૂકી છે અને ટૂંક સમયમાં તેને વિધાનસભામાં રજૂ કરવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, ગૃહમંત્રી અનિલ દેશમુખે કેબિનેટ બાદ કહ્યું કે મંત્રીમંડળે બેઠકમાં શક્તિ એક્ટ બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. આ બિલમાં દોષિત ઠરનાર વ્યક્તિને મૃત્યુદંડ, આજીવન કારાવાસ અને ભારે દંડ સહિત કડક સજા અને દંડની વ્યવસ્થા કરાઇ છે. આ અધિનિયમ અનુસાર પ્લાસ્ટિક સર્જરી અને ચહેરાના પુર્નનિર્માણ માટે એસિડ એટેક પીડિતાને 10 લાખ રૂપિયાની સહાય અપાશે અને દોષિત પાસેથી પણ દંડ વૂસલાશે.

શક્તિ એક્ટમાં માત્ર 30 દિવસમાં આરોપીની ટ્રાયલ પૂરી કરવી પડશે

આ અધિનિયમમાં દુષ્કર્મના કેસોની સુનાવણી વિશેષ કોર્ટમાં થશે અને પોલીસે 15 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરવાની રહેશે. આ પ્રકારના કેસમાં વધુમાં વધુ 30 દિવસમાં ટ્રાયલ પૂરી કરવી પડશે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી યશોમતિ ઠાકુરે તેને ઐતિહાસિક ફેસલો ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ નિર્ણયથી રાજ્યમાં મહિલાઓ અને બાળકીઓ પર હિંસા કરનારાઓમાં ડર વધશે.

નોંધનીય છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાના બે દિવસના શિયાળુ સત્રની શરૂઆત 14 ડિસેમ્બરથી મુંબઈમાં થઈ રહી છે. આ શક્તિ એક્ટ બિલને આ શિયાળુ સત્રમાં રાજ્ય વિધાનમંડળમાં રજુ કરાશે. વિધાનમંડળના બે સદનોમાં ચર્ચા અને અનુમોદન બાદ તેને હસ્તાક્ષર માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદાને ‘શક્તિ અધિનિયમ’ કહેવામાં આવશે.

(સંકેત)