Site icon Revoi.in

મુંબઈ: તનુશ્રી દત્તાએ લગાવ્યો હતો છેડછાડનો આરોપ, નાના પાટેકરને મુંબઈ પોલીસની ક્લિનચિટ

Social Share

મુંબઈ: તનુશ્રી દત્તાએ ગત વર્ષ એક્ટર નાના પાટેકર વિરુદ્ધ એક જૂના મામલામાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. બોલીવુડમાં મીટૂ અભિયાનની શરૂઆત કરી હતી. આ મામલો ઘણો વધ્યો અને મુંબઈ પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. મુંબઈ પોલીસે મામલાની તપાસ કરી હતી. હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. પોલીસને તપાસમાં નાના પાટેકર વિરુદ્ધ કોઈપણ પ્રકારના પુરાવા મળ્યા નથી.

તાજેતરમાં આ મામલામાં પોલીસ દ્વારા નાના પાટેકરને ક્લિનચિટ મળવાના અહેવાલ આવ્યા હતા. જો કે આવા અહેવાલો બાદ તનુશ્રી દત્તાએ સ્પષ્ટ કર્યું હતું કે જે અહેવાલો ફેલાવાય રહ્યા છે, તે માત્ર અફવા છે. તનુશ્રીએ કહ્યું છે કે મીડિયામાં નાના પાટેકરને હેરેસમેન્ટ કેસમાં પોલીસ દ્વારા ક્લિનચિટ મળવાના ખોટા સમાચાર ચલાવાય રહ્યા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મુંબઈ પોલીસે આવું કોઈ નિવેદન આપ્યું નથી. મારા વકીલે અને મુંબઈ પોલીસે કન્ફર્મ કર્યું છે કે મીટૂ મામલા પર હજીપણ તપાસ ચાલી રહી છે.

જોવાનું એ હશે કે હવે આ મામલામાં નાના પાટેકરને મુંબઈ પોલીસ તરફથી ક્લિનચિટ મળી ગઈ છે, તો તનુશ્રી દત્તા આગળ શું પગલું ઉઠાવે છે?

ગત વર્ષ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફિલ્મ હોર્ન ઓકે પ્લીઝના સેટ પર ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં તનુશ્રીએ વર્ષો જૂના મામલાને લઈને કહ્યું હતું કે નાના પાટેકરે મને ગીતના સ્ટેપ્સ શીખવવાના બહાને સ્પર્શ કર્યો. તેમણે મને ઘણી જ અશાલિન ઢબે સ્પર્શ કર્યો હતો. નાનાની આવા પ્રકારની હરકત બાદ તનુશ્રી ફિલ્મમાંથી બહાર થઈ ગઈ હતી અને તેના સ્થાને રાખી સાવંતને લેવામાં આવી હતી.

તનુશ્રીએ નાના પાટેકર પર અન્ય ઘણાં આરોપ લગાવ્યા હતા. તનુશ્રી દત્તાના આરોપો બાદ ઘણી અન્ય એક્ટ્રેસે બોલીવુડમાં પોતાની સાથે થયેલા ઉત્પીડનની ઘટનાઓ જણાવી હતી.