Site icon Revoi.in

આજે વૈશાખી પૂનમ, યાત્રાધામ ડાકોર અને વડતાલમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યાં

Social Share

નડિયાદઃ આજે શુક્રવારે વૈશાખી પૂનમના શુભદિને યાત્રાધામ ડાકોર અને વડતાલમાં ઠાકોરજી અને શ્રી હરિના દર્શન માટે ભાવિક-ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. યાત્રાધામોમાં દર પુનમે દર્શનાર્થીઓનો ધસારો વધુ જોવા મળતો હયો છે.  દર પૂનમ ભરવા દુર દુરથી આવતાં ભક્તોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળી હતો. ડાકોરમાં તો ભગવાન ભક્તો માટે વહેલા ઉઠ્યા હતા અને ભક્તોને દર્શન આપ્યા હતા.

રાજ્યના મોટાભાગના ધાર્મિક સ્થળોએ આજે વૈશાખી પુનમ હોવાથી ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. અંબાજી, પાવાગઢ, સોમનાથ, દ્વારકા, ડાકોર, અને વડતાલ સહિતના સ્થળોએ આજે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ દર્શન માટે લાઈનો લગાવી હતી. યાત્રાધામ ડાકોરમાં  વહેલી સવારની મંગળા આરતીથી જ ભક્તોની‌ ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે 5:15 વાગ્યે મંગળાઆરતી, ત્યારબાદ  8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા. 8:30 ભગવાનને 3 ભોગ ધરાવવામાં આવ્યા હતા. આ પછી 12:30 સુધી ઠાકોરજીના રાજભોગ દર્શન પછી બપોરે 4 વાગ્યે મંદિર ખુલતા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા.  દરમિયાન ઠાકોરજીને કેરીનો રસ અને દૂધભાત ધરાવાયા હતા દુર દુરથી પગપાળા દર્શન કરવા આવેલા ભક્તોએ દર્શન કરી રાજીપો વ્યક્ત કર્યો હતો. દર્શન માટે આવેલા દર્શનાર્થીઓ માટે ભંડારાની પણ સુવિધા ભક્તો દ્વારા કરાઈ હતી.

વડતાલમાં સ્વામિનારાયણનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. મંદિરમાં ઘણાબધા હરિભક્તો પુનમ ભરવા માટે આવતા હોય છે. એટલે કે દર પુનમે હરિના દર્શન માટે દુર દુરથી ભક્તો આવતા હોય છે. આજે વૈશાખી પુનમ હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાન શ્રી હરીના દર્શન કરવા ભક્તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાંથી પરિભક્તો ઉમટ્યા પડ્યા હતા. આમ વૈશાખી પૂનમ ભરવા ઠેકઠેકાણેથી ડાકોર અને વડતાલમાં આવતાં ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.