Site icon Revoi.in

પોલીસ દ્વારા વાહનચાલકો પાસે કરાતી સરેઆમ તોડબાજી, ભાજપના ધારાસભ્યએ લખ્યો પત્ર

Social Share

સુરતઃ રાજ્યના તમામ મહાનગરો અને હાઈવે પર પોલીસ દ્વારા તોડ કરાતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ત્યારે ભાજપના ધારાસભ્ય કૂમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નેશનલ હાઈવે પર વાસદના ટોલનાકા બાદ પોલીસ દ્વારા વાહન ચેકિંગના નામે સુરત પાસિંગની કાર રોકીને ખૂલ્લેઆમ તોડબાજી કરાતી હોવાથી આ મામલે ત્વરિત તપાસ કરવાની માગ કરી છે.

સુરત શહેરના વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને એવી રજુઆત કરી છે. કે,  શહેરના વાસંદ ટોલનાકા બાદ સુરત પાર્સીગની કાર માલિકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે. તેમણે સ્થાનિકો વતી રજૂઆત કરી કે પોલીસના ચેકિંગના કારણે વાહનચાલકોને મુશ્કેલી ઉભી થઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી ફોર વ્હીલરોના માલિકો સાથે ટોલનાકા પછી ત્યાં આણંદ જિલ્લાની પોલીસ 15-20 ના ટોળામાં ઉભા રહી ફોર વ્હીલરો ગાડીઓ ઉભી રખાવીને ચેકિંગના બહાના હેઠળ પરેશાન કરી રહ્યા છે. કારમાં બહેન- દીકરીઓ અને પત્ની સાથે જતા હોય તેવા વાહનોને સાઈડમાં ઉભા રખાવી ડોકયુમેન્ટની માંગણી કરવામાં આવે છે. કાયદાકીય રીતે પોલીસ તેમની ફરજ બજાવે તેમાં કોઈને પણ વાંધો ન હોવો જોઈએ, પરંતુ માત્ર તોડબાજી કરવાના હેતુસર વાહન માલિકો સાથે ગાળા-ગાળી કરી ગમે તે ભાષામાં વાત કરી એનકેન પ્રકારે હેરાન કરવામાં આવે છે. અને માત્ર પૈસાની તોડબાજી માટે વાહન માલિકોને હેરાન કરવામાં આવે છે. અને જો વાહન માલિકો દ્વારા કઈપણ રજુઆત કરવામાં આવે અથવા મોબાઈલ પર કોઈ સાથે વાત કરવાનું કહેવામાં આવે તો મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવે છે.  આવી રીતે કોઈ મોટા આંતકવાદી તરીકેના ગુનેગાર હોય તેવું તેમની સાથે વર્તન કરવામાં આવે છે. તો આ બાબતને ગંભીરતા પૂર્વક લઇ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવા મારી માંગણી છે.