રાજકોટ: પેટ્રોલ અને ડિઝલના ભાવમાં મામુલી ઘટાડા બાદ ફરીવાર ભાવ વધી રહ્યા છે. અસહ્ય મોંઘવારીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ થોડી રાહત અનુભવી છે. સિંગતેલ અને કપાસિયા તેલ ના ભાવ ઘટાડો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 50 અને કપાસિયા તેલમાં રૂપિયા 15 નો ઘટાડો થયો છે. જ્યારે પામોલિન તેલના ભાવમાં કોઈ ફેરફરા જોવા મળી રહ્યો નથી.
ગુજરાતમાં આ વર્ષે સીંગતેલ સહિત ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારાને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ખાદ્યતેલોમાં બેફામ સટ્ટાખોરીના પગલે ચાલુ વર્ષે ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ વર્ષના મધ્યથી ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો હતો. જો કે, ગૃહિણીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે નહીં. સિંગતેલ માં છેલ્લા ચાર દિવસમાં 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે કપાસિયા તેલ માં 15 રૂપિયાનો ઘટાડો થયો છે. ભાવ ઘટાડા બાદ 15 કિલો સિંગતેલના ડબ્બાનો ભાવ 2480 થી 2530 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાના 2385 થી 2435 રૂપિયાના ભાવે સોદા થયા છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં નવરાત્રી પછી સિંગતેલની સિઝન ખુલતી હોય છે. ત્યારે સારા વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થવાની આશા છે.
આશ્ચર્યની વાત એ છે કે પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે. 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે. છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી. ગત 3 ઓગસ્ટના રોજ રાજકોટમાં પામોલીન તેલનો ભાવ 1995-2000 રૂપિયા હતો. જેના સોદામાં પણ વધારો થયો હતો. પામોલિન તેલના ભાવ પણ 2 હજારની સપાટી કુદાવી છે અને તે 2030 રૂપિયા થઈ ગયો છે.