Site icon Revoi.in

યુએનમાં ઇઝરાયલ-પાકિસ્તાન વચ્ચે તણખા ઝર્યાં : બિન લાદેનનો ઉલ્લેખ થતા પાકિસ્તાન ઉશ્કેરાયું

Social Share

ન્યૂયોર્કઃ યુનાઇટેડ નેશન્સ સુરક્ષા પરિષદ (UNSC)માં ઇઝરાયલ અને પાકિસ્તાન વચ્ચે તીખી નોકઝોક જોવા મળી છે. ઇઝરાયલના પ્રતિનિધિએ પોતાના તાજેતરના દોહા હુમલાને યોગ્ય ઠેરવતા પાકિસ્તાનમાં અમેરિકાએ કરેલા ઓપરેશનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો. આ ઉલ્લેખ થતા જ પાકિસ્તાન ભડકાયું અને ઇઝરાયલ પર કડક પ્રહાર કર્યો હતા.

પાકિસ્તાનએ જણાવ્યું કે દેશ કોઈ પણ બાહ્ય જોખમ સામે પોતાની રક્ષા કરવા સક્ષમ છે. સાથે જ મધ્ય પૂર્વમાં શાંતિ પ્રત્યે ઇઝરાયલની પ્રતિબદ્ધતાને લઈને પણ પાકિસ્તાને પ્રશ્નો ઉઠાવ્યા હતા. પાકિસ્તાનના યુએનએસસીમાં સ્થાયી પ્રતિનિધિ અસીમ ઇફ્તિખાર અહમદે જવાબ આપતા ઇઝરાયલને “કબ્જાખોર, આક્રમક અને આંતરરાષ્ટ્રીય કાયદાનો ઉલ્લંઘન કરનાર દેશ” ગણાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે “દુનિયાભરમાં આતંકવાદ વિરોધી લડતમાં પાકિસ્તાનની ભૂમિકા તથા અલ-કાયદાના ખતમામાં દેશના યોગદાનને નકારી શકાતું નથી.”

આ વિવાદ દક્ષિણ કોરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા યુએનએસસીના મધ્યપૂર્વ મુદ્દે ચર્ચા દરમિયાન થયો, જેમાં પાકિસ્તાન, અલ્જીરિયા અને સોમાલિયાએ ભાગ લીધો હતો. પાકિસ્તાને દોહા હુમલાની નિંદા કરી અને બિન લાદેનનો ઉલ્લેખ “ભ્રામક” ગણાવ્યો હતો.

બીજી તરફ, ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું કે આતંકવાદીઓને કોઈ પનાહ નહીં મળે, “ન ગાઝામાં, ન તેહરાનમાં, ન દોહામાં.” તેમણે કતારને સંબોધીને કહ્યું કે તે હમાસની નિંદા કરે અને તેને હટાવે, નહીં તો ઇઝરાયલ પોતે પગલાં ભરશે. પાકિસ્તાન-ઇઝરાયલ વચ્ચેનો આ વિવાદ ફરી એકવાર દર્શાવે છે કે બંને દેશો વચ્ચે સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. પાકિસ્તાન જ્યાં ફલસ્તીનની વકલાત કરે છે, ત્યાં ઇઝરાયલ પાકિસ્તાનને આતંકવાદી તત્વો સાથે સંકળાયેલું ગણાવી રહ્યું છે.

Exit mobile version