Site icon Revoi.in

ક્ષત્રિય સમાજ ધર્મયાત્રા કાઢીને ભાજપનો વિરોધ કરશે, અન્ય સમાજનો પણ સાથ લેવાશે

Social Share

અમદાવાદ:  ક્ષત્રિય સમાજની વિનંતી છતાંયે ભાજપે પરશોત્તમ રૂપાલીની ટિકિટ રદ ન કરતાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. રાજપૂત સમાજનું આંદોલન  વેગ પકડી રહ્યું છે. ભાજપ સામે આંદોલન પાર્ટ ટુ જાહેર કર્યા બાદ ક્ષત્રિય સમાજે ‘ઓપરેશન ભાજપ’ની રણનીતિ ઘડી કાઢી છે. જેના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ધર્મયાત્રા કાઢી સર્વ સમાજના લોકોને જોડી ભાજપનો વિરોધ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ તેમણે માફી માગી છતાં ક્ષત્રિય સમાજ માફી આપવાના મતમાં નથી. ક્ષત્રિય સમાજે સંમેલન કરીને તમામ જિલ્લા અને તાલુકાઓમાં કલેક્ટર-મામલતદારોને આવેદન પત્ર આપીને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ કરવામાં આવી હતી. પણ ભાજપે રૂપાલાની ટિકિટ રદ ન કરીને મક્કમ રહેતા ક્ષત્રિય સમાજ વધુ રોષે ભરાયો છે. ભાજપ હાઈ કમાન્ડ પરશોત્તમ રૂપાલાને બદલવાના મતમાં નહતું. જેના કારણે વધુ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ ટુ ઓપરેશન જાહેરાત કરી દીધી છે.

ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ ટુ ના ભાગરૂપે અત્યારે હાલ અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય મહિલાઓના પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે. આ સાથે જ જ્યાં ક્ષત્રિય સમાજની મત બેંક વધારે છે તે લોકસભા બેઠક પર ભાજપને ચૂંટણીમાં વધુને વધુ નુકસાન પહોંચાડવાનું ક્ષત્રિય સમાજનું આયોજન છે. આ સાથે જ ધર્મયાત્રાનું પણ એલાન કરવામાં આવ્યું છે.  ક્ષત્રિય આગેવાન અર્જુનસિંહએ જણાવ્યું કે, આગામી 24 તારીખથી ધર્મ રથયાત્રાનું આયોજન કરાયુ છે.  રાજપૂત સમાજ અલગ અલગ 13થી 14 જિલ્લાઓમાં ધર્મયાત્રા કાઢશે. જેમાં ભાવનગરમાં ખોડીયાર મંદિર, કચ્છના આશાપુરા માતાના મઢ અને બનાસકાંઠામાં અંબાજીથી તેવી રીતે અલગ અલગ જગ્યાએથી ધર્મ રથ યાત્રા યોજશે. આ યાત્રા જિલ્લામાં 6થી 7 દિવસ સુધી ફરશે. જેમાં વધુને વધુ ક્ષત્રિય સમાજ તો જોડાશે જ સાથે અલગ અલગ સમાજને પણ આ યાત્રામાં જોડી રૂપાલા અને ભાજપ સામે વિરોધ નોંધાવશે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીને લઈ આગામી 7 મે ના રોજ મતદાન થવાનું છે તે પહેલાં રાજ્યના વધુને વધુ જિલ્લામાં ધર્મયાત્રાની રણનીતિ ઘડવામાં આવી છે.