Site icon Revoi.in

વડાપ્રધાને દેશના અમૃતકાળના વિકાસને સૂવર્ણકાળ બનાવવાનો રોડમેપ ગતિશક્તિથી આપ્યોઃ મુખ્યમંત્રી

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનાં અમૃતકાળને વિકાસનો સુવર્ણકાળ બનાવવા માટે માળખાકીય સુવિધાઓ સહિતની વિવિધ નીતિઓમાં આયોજનથી માંડીને અમલ સુધીનો રોડમેપ પ્લાન ગતિશક્તિથી પૂરૂં પાડવાનું વિઝન આપ્યું છે. વડાપ્રધાનનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતમાં પણ ઉત્તમ માળખાકીય સુવિધાઓ ઉભી થઈ છે. વડાપ્રધાનના વિઝનને અનુરૂપ પોતાનું ગતિશક્તિ પોર્ટલ લોંચ કરવાની પહેલ કરી છે તેમ મુખ્યમંત્રીએ ગૌરવ સહ જણાવ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નાં પ્રથમ દિવસે યોજાયેલા વિવિધ સેમિનાર અંતર્ગત મુખ્યમંત્રી  “પી.એમ.ગતિશક્તિ –  ઇન્ફોર્મ્ડ ડિશીઝન મેકીંગ ફોર હોલિસ્ટીક ડેવલોપમેન્ટ” સેમિનારમાં વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

મુખ્યમંત્રીએ આ સેમિનાર દ્વારા રાજ્ય અને દેશનાં ભવિષ્યનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે દિશા, સ્પીડ અને સ્કેલ નિર્ધારિત થશે તે દેશની અર્થવ્યવસ્થા, એગ્રીકલ્ચર, સોશિયલ અને સર્વિસ ત્રણેય સેક્ટરમાં વિકાસનાં નવા સીમાચિહ્નો અંકિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં દેશમાં સડક નિર્માણ, રેલવે અને રોડ બ્રીજ, એરપોર્ટ્સ અને હાઇસ્પીડ રેલ જેવાં ઇન્ફાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે અને બદલાતાં ઇન્ફાસ્ટ્રક્ચર સાથે લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધી રહ્યું છે. અમૃતકાળમાં વડાપ્રધાનએ લોકોને સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરૂં પાડવાનો નિર્ધાર કર્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત તેમનાં જ પદચિહ્નો પર ચાલીને નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધ્યું છે. પી.એમ. ગતિશક્તિને અનુરૂપ જે ગતિશક્તિ પોર્ટલ ગુજરાતે લોન્ચ કર્યું છે તે રાજ્યનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટ્સમાં ડિશીઝન મેકીંગ, લેન્ડ એક્વીઝીશન અને સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરા કરવામાં મદદરૂપ બને છે તેની ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ ગુજરાત 2024 અંતર્ગત આયોજીત આ સેમિનારમાં વિચારોનું જે આદાન પ્રદાન થશે તે ગુજરાતનાં ગતિશકિત માસ્ટર પ્લાનને વધુ ઉપયુક્ત બનાવવામાં અને હોલિસ્ટીક ડેવલોપમેન્ટથી વિકસીત ગુજરાત @ 2047 સાકાર કરવામાં નવી દિશા આપશે તેમ પણ જણાવ્યું હતું.

વાઈબ્રન્ટ સમિટ એ ગ્લોબલ ઈન્ડસ્ટ્રીઝના પ્લેયર માટે મહત્વનું પ્લેટફોર્મ બની ગયું છે. આ સમિટમાં ઔદ્યોગિક રોકાણો ઉપરાંત યોજાતાં સેમિનાર્સ રાજ્ય તથા દેશનાં વિકાસ માટે દિશાસૂચક સાબિત થતાં હોય છે. આજે પી.એમ. ગતિશક્તિ યોજના પર યોજાયેલા સેમિનારમાં ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટના કારણે નાગરિકોનાં જીવનમાં આવતાં ગુણાત્મક  પરિવર્તન બાબતે ઉપસ્થિત મહાનુભાવોએ રસપ્રદ માહિતી આપી હતી.

કેન્દ્રિય વાણિજ્ય મંત્રી  પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં એક પછી એક વૈશ્વિક કક્ષાનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તેજ ગતિથી ચાલી રહ્યાં છે. ગુજરાત આજે દેશનું જ નહીં, સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષી રહ્યું છે. ત્યારે ઈન્ફ્રાસ્ટકચર પ્રોજેક્ટમાં વિલંબ થાય તે આપણા માટે યોગ્ય બાબત નથી. વડાપ્રધાન શ્રી મોદીનાં વિઝન વિકસિત ભારત- 2047ને હાંસલ કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સમસયસર પૂર્ણ થાય તે સમયની માંગ છે.