Site icon Revoi.in

ભારત દેશનું આ છેલ્લું ગામ કે જ્યાં સ્વર્ગ જવા માટે ભીમએ પણ પુલ બનાવ્યો હતો

Social Share

ભારતનો ઈતિહાસ એટલો મોટો છે અને એટલો જૂનો પણ છે કે જેના વિશે કોઈ સચોટ માહિતીતો ન જ આપી શકે. ભારતમાં આજે પણ એવી એવી વસ્તુઓ જોવા મળે છે કે જેને જોઈને બધા કહે છે કે.. હા.. ભારતમાં ભૂતકાળમાં ક્યારેક મહાભારત અને રામાયણના પાત્રો હશે. આવામાં જો વાત કરવામાં આવે ભારતના એવા ગામની કે જે ભારતનું છેલ્લું ગામ છે અને તે ગામમાં થઈને સ્વર્ગ જવા માટે પાંચ પાંડવ પુત્રમાંનો એક પુત્ર ભીમ દ્વારા પુલ પણ બનાવવામાં આવ્યો છે.

એવું માનવામાં આવે છે કે પાંડવોએ સ્વર્ગમાં જવા માટે આ રસ્તો પસંદ કર્યો હતો. જ્યારે પાંડવો સ્વર્ગમાં જવા માના ગામમાં પહોંચ્યા ત્યારે પાંડવોએ અહીં વહેતી સરસ્વતી નદીમાંથી રસ્તો શોધ્યો. રસ્તો ન મળતાં ભીમે બે મોટા ખડકો ઉપાડ્યા અને નદી પર મૂકી દીધા અને પુલ બનાવ્યો. આ પુલ દ્વારા તે નદી પાર કરીને આગળ વધ્યો. આજે પણ તે જગ્યાએ સરસ્વતી નદી વહે છે, જે આગળ અલકનંદામાં જોડાય છે. આજે પણ તે ખડકોનો પુલ નદી પર છે. આ પુલ ‘ભીમપુલ’ તરીકે ઓળખાય છે.

જો આ ગામ વિશે વાત કરવામાં આવે તો આ ગામમાં લગભગ 60 ઘર છે અને અહીં 400 લોકોની વસ્તી રહે છે. મોટાભાગના ઘરો લાકડાના બનેલા છે. છત પથ્થરની પેનલની છે. કહેવાય છે કે આ મકાનો ધરતીકંપના આંચકા સહેલાઈથી સહન કરી લે છે. આ ઘરોમાં લોકો ઉપરના માળે અને નીચે તેમના પ્રાણીઓ રહે છે. ગામમાં ઘણી એવી જડીબુટ્ટીઓ છે, જે સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. આ બધા સિવાય અહીં ગણેશ ગુફા, વ્યાસ ગુફા પણ જોવા જેવી છે. કહેવાય છે કે આ ગુફામાં બેસીને ગણપતિએ મહાભારત લખી હતી.