Site icon Revoi.in

આજે ફ્રેન્ડશિપ ડે: જાણો તેનો ઇતિહાસ,મહત્વ અને આ વર્ષની થીમ

Social Share

ફ્રેન્ડશિપ ડે મિત્રો અને તેમની મિત્રતાને સમર્પિત છે. આ દિવસની ઉજવણી કરવાનો હેતુ લોકોને મિત્રોનું મહત્વ સમજાવવાનો છે, કારણ કે મિત્રો તે છે જે તમારા ખરાબ સમયમાં, કોઈપણ મુશ્કેલીમાં અને જીવનભર એક પરિવારની જેમ તમારી સાથે જોડાયેલા રહે છે, અને આપણી મિત્રતા જાળવીને આપણી ફરજ અદા કરે છે.

ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે એટલે કે ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. આ મિત્રોને સમર્પિત દિવસ છે. દરેક વ્યક્તિના જીવનમાં પરિવાર પછી એવી વ્યક્તિ ચોક્કસ હોય છે જેની સાથે ભલે લોહીનો સંબંધ ન હોય પરંતુ હૃદયનો સંબંધ જીવનભર જોડાયેલો હોય છે.

વર્ષ 2023 માં વિશ્વ મિત્રતા દિવસ 6 ઓગસ્ટ રવિવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ફ્રેન્ડસ, મિત્ર , દોસ્ત અને સાચી મિત્રતા માટે જાણીતો છે. જો કોઈ વ્યક્તિ એમ કહે છે કે મારો એક પણ પાકો મિત્ર નથી, તો સમજી લેવું જોઈએ કે તે તેના જીવનનો અમૂલ્ય સમય અથવા ભાગ બગાડી રહ્યો છે, કારણ કે મિત્રતા અથવા સાચા મિત્રો વિના આ જીવન ગરમ અંગારા પર ઉઘાડા પગે ચાલવા જેવું છે.

એટલા માટે આપણે જીવનમાં સાચા અને સારા મિત્રોને સ્થાન આપવું જોઈએ. મિત્રતાનો અર્થ એ છે કે જે જીવનના સુખ-દુઃખમાં તમારી સાથે ચાલે અને તમારા હૃદયમાં દૂર-દૂર સુધી પોતાના કદમોની છાપ છોડી જાય, એ જ તમારો સાચો મિત્ર છે.

આજે આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ છે.ત્યારે આવો જાણીએ મિત્રતા દિવસ ઉજવણી શરૂઆત  કેવી રીતે થઈ, તેનો ઈતિહાસ શું છે અને આ વર્ષની થીમ વિશે..

ભારતમાં ફ્રેન્ડશીપ ડે 6 ઓગસ્ટ, 2023 રવિવારના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, મલેશિયા, ઓસ્ટ્રેલિયામાં પણ આ દિવસે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરવામાં આવશે. મિત્રતા એ વિશ્વનો સૌથી અમૂલ્ય સંબંધ છે, તેથી જ લોકો આ દિવસને ધામધૂમથી ઉજવે છે.

ફ્રેન્ડશિપ ડે નો ઈતિહાસ

30 જુલાઈ 1958 ના રોજ પેરાગ્વેમાં આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. 2011માં યુનાઈટેડ નેશન્સે 30 જુલાઈએ ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે ઉજવવાની જાહેરાત કરી હતી, જો કે, અમેરિકા, ભારત, બાંગ્લાદેશ જેવા ઘણા દેશો ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડે ઉજવે છે. એવું કહેવાય છે કે આ દિવસ વિશ્વના તમામ દેશોમાં મિત્રતા દ્વારા સુખ અને એકતાનો સંદેશ ફેલાવવાના ઉપાય તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો.

ફ્રેન્ડશિપ ડેની શરૂઆત કેવી રીતે થઈ 

ફ્રેન્ડશિપ ડેની શરૂઆત વિશે ઘણી વાર્તાઓ પ્રચલિત છે. કહેવાય છે કે 1935માં યુએસ સરકારે ઓગસ્ટના પહેલા રવિવારે એક વ્યક્તિની હત્યા કરી હતી. આ સમાચારથી દુઃખી થઈને તેના મિત્રએ આત્મહત્યા કરી લીધી. મિત્રતાનું આવું ઉદાહરણ સામે આવ્યા બાદ યુએસ સરકારે ઓગસ્ટના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જીવનમાં મિત્રોનું મહત્વ સમજાવવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

મિત્રનું જીવનમાં શું છે મહત્વ 

ભારતીય પરંપરાની મિત્રતાની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. મિત્રોને આપણા જીવનના સુખ-દુઃખ સાથે ગણવામાં આવે છે, જ્યારે પણ મિત્રોની વાત આવે છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ઉદાહરણો આપવામાં આવે છે. કૃષ્ણ-સુદામાની મિત્રતા મિત્ર પ્રત્યે પ્રમાણિકતા, ત્યાગ અને આદરની ભાવના દર્શાવે છે.જે સાચા મિત્રની નિશાની છે. કહેવાય છે કે  પરિવાર એ ઉપરવાળાની ભેટ છે, પરંતુ  મિત્રની પસંદગી કરવાનો મોકો દરેક વ્યક્તિને મળે છે. સાચો મિત્ર જીવનના દરેક વળાંક પર પડછાયાની જેમ આપણી સાથે રહે છે, જે આપણું જીવન માત્ર સફળ જ નથી કરતું પણ ખુશીઓનું વિતરણ પણ કરે છે.

આ વર્ષની થીમ 

આ વખતે વર્લ્ડ ફ્રેન્ડશીપ ડે / ફ્રેન્ડશીપ ડે 2023 ની થીમ છે Sharing The Human Spirit Through Friendship