Site icon Revoi.in

ડીસામાં નકલી ઘી બનાવતી બે ફેક્ટરીઓ પર દરોડા, 3200 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂ. 9.50  લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટનો વનસ્પતી ઘી આશરે 3200  કિગ્રા જથ્થો જપ્ત કરાયો છે. તેમ રાજ્યના ખોરાક અને નિયંત્રણ વિભાગના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે,  પાલનપુરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અને જિલ્લા પોલીસ તંત્રને બનાસકાંઠા ખાતે ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે. તેવી મળેલ બાતમી મળી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં મે.  પદમનાથ ફુડ પ્રોડકટસ, પી.એન. ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, રેલવે ફાટક પાસે, ડીસા, પાલનપુર ખાતે પેઢીના માલિક લોમેશ યોગેશભાઈ લીંબુવાલાની હાજરીમાં શંકાસ્પદ ઘી નો એક નમુનો લેવાયો હતો. જયારે અંદાજીત રૂ. 1.62 લાખની કિંમતનો બાકીનો 450 કિગ્રા જથ્થો સ્થળ ઉપર જપ્ત કરવામાં આવ્યો છે .

આ ઉપરાંત ડીસા, બનાસકાંઠા ખાતે આવેલ બીજી પેઢી મે. ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ, રેલવે સ્ટેશન રોડ, ડીસા, બનાસકાંઠા ખાતે તપાસ કરતા સ્થળ ઉપર શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી મળી આવતા પેઢી ના માલિક  ઠક્કર દિનેશભાઈ ની હાજરીમાં શંકાસ્પદ ઘી ના પાંચ નમુના લેવામા આવ્યા છે અને બાકીનો અંદાજીત કિંમત રુ. 5.50 લાખની કિંમતનો આશરે 1350  કિ. ગ્રા. ઘી નો જથ્થો અને એડલટ્રન્‍ટ તરીકે વનસ્પતિ ઘી ના બે નમુના લેવામાં આવ્યા જયારે બાકીનો આશરે અંદાજીત કિંમત રૂ. 2.50  લાખ કિંમતનો 1400   કિગ્રા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે,આ બે રેડમાં ઘી અને વનસ્પતીના કુલ આઠ નમુનાઓ લેવામા આવ્યા છે જેમા અંદાજીત રૂ. 9.50 લાખની કિંમતનો બાકીનો કુલ આશરે 3200 કિ. ગ્રા. જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામા આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.